સુરક્ષા ચૂકઃ ચન્નીએ PM મોદી સામે આગ ઓકી  

ચંડીગઢઃ પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં જે મોટી ચૂક થઈ હતી, એ મામલો હાલ ઠંડો પડે  એવી કોઈ શક્યતા નથી, કેમ કે રાજ્યના મુખ્ય પ્રધાન ચરણજિત સિંહ ચન્નીએ એમાં ઘી રેડ્યું છે. તેમણે વડા પ્રધાન પર ટોણો તો માર્યો છે, પણ તેમણે વડા પ્રધાનની સામે પદની ગરિમા પણ નહીં સાચવીને બેફામ ભાષાનો પ્રયોગ કર્યો છે. ચન્નીએ વડા પ્રધાન મોદી માટે ‘તું-તારી’ કરી છે. તેમણે કહ્યું હતું કૈ દેશમાં જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે કે PM મોદીની સુરક્ષામાં કોઈ ચૂક થઈ છે.

ચન્નીએ કહ્યું હતું કે  શું કોઈએ તમને પથ્થર માર્યો…. કે કોઈએ ઉઝરડા પાડ્યા… કે કોઈ ગોળી વાગી… કે કોઈએ તારી સામે સૂત્રોચ્ચાર કર્યો. દેશઆખામાં વાત ફેલાવવામાં આવી રહી છે કે વડા પ્રધાનના જીવને જોખમ છે. ચન્નીએ વડા પ્રધાન પર ટોણો મારતાં ‘તું-તારી’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ સભામાં ચન્ની વડા પ્રધાન પર ખૂબ વરસ્યા હતા. જોકે સોશિયલ મિડિયા પર પણ તેમને ટોણો માર્યો હતો.

તેમણે સરદાર પટેલને બહાને ફરી એક વાર મોદીને નિશાન બનાવ્યા હતા. પટેલનો એફ ફોટો શેર કરતાં લખ્યું હતું કે જેને કર્તવ્યની વધુ જીવની ચિંતા હોય, તેણે ભારત જેવા દેશમાં મોટી જવાબદારી ના લેવી જોઈએ. હવે નામ તો તેમણે કોઈનું લીધું નહોતું પણ ઇશારો વડા પ્રધાન તરફ હતો.