રહી રહીને રાહુલ નીકળ્યા તોફાનગ્રસ્ત વિસ્તારની મુલાકાતે!

નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમની સાથે કોંગ્રેસના અધીર રંજન અને વેણી ગોપાલ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ સામેલ હતા. રાહુલ ગાંધીએ તોફાનગ્રસ્ત વિસ્તારોમાં લોકો સાથે વાતચીત કરી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. દિલ્હીના ઉત્તર-પૂર્વના જિલ્લાઓમાં તોફાનો પછી જનજીવન પૂર્વવત થઈ રહ્યું છે. દિલ્હી હિંસામાં ઘણું મોટું નુકસાન થઈ ચૂક્યું છે. આ હિંસામાં અત્યાર સુધી 50 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

રાહુલ ગાંધીએ વ્રજપુર વિસ્તારની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીએ વ્રજપુરની અરુણ મોર્ડન પબ્લિક સ્કૂલની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં તોફાનો દરમ્યાન સ્કૂલને બાળી નાખવામાં આવી હતી.

રાહુલ ગાંધીએ ભાજપને આડે હાથ લીધો

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સ્કૂલોમાં તો હિન્દુસ્તાનનું ભવિષ્ય છે. તેમણે ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે આનાથી ભારત માતાનું ભલું થવાનું નથી. હિન્દુસ્તાનને વહેંચવામાં આવી રહ્યું છે. નફરત અને હિંસા પ્રગતિનું દુશ્મન છે. તેમણે કહ્યું હતું કે હિન્દુસ્તાનને જોડીને પણ આગળ વધી શકાય છે. તેમણે કહ્યું હતું કે દેશની રાજધાની દિલ્હીમાં તોફાનોથી વિશ્વમાં એની છબિ ખરાબ થઈ છે.

મૌન રાખીને શ્રદ્ધાંજલિ

ચેરમેન એડવોકેટ સુનીલ કુમારે જણાવ્યું હતું કે આ બેઠકમાં પહેલાં ઉત્તર-પૂર્વમાં થયેલાં તોફાનોમાં માર્યા ગયેલા લોકોને મૌન રાખીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તેમણે કહ્યું હતું કે તોફાનોમાં અસરગ્રસ્તોને મફત કાનૂની સલાહ અને સહાયતા કરવામાં આવશે.

કોંગ્રેસે હેલ્પલાઇન નંબર જારી કર્યો

કોંગ્રેસ દ્વારા પીડિત લોકોની સહાયત માટે વોટ્સએપ નંબર 7042793948 જારી કરવામાં આવ્યો હતો.