નિર્ભયા કેસઃ પવન ગુપ્તાની દયા અરજી ય ફગાવાઇ

નવી દિલ્હીઃ નિર્ભયાના ચારેય દોષિતો પૈકી એક પવન કુમાર ગુપ્તાની પણ દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. ત્યારે ફાંસીથી બચવાનો તેનો અંતિમ વિકલ્પ પણ ખતમ થઈ ગયો છે. આ સાથે જ રાષ્ટ્રપતિ દ્વારા નિર્ભયાના તમામ દોષિતોની દયા અરજી ફગાવી દેવામાં આવી છે. ફાંસીથી રાહત મેળવવા માટે પવન પાસે માત્ર દયા અરજીને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો જ વિકલ્પ બચ્યો છે.

આ પહેલા દિલ્હીમાં સત્તારુઢ આમ આદમી પાર્ટીની સરકારે સોમવારના રોજ દોષિત પવનની દયા અરજી ફગાવી દીધી છે. બાદમાં પવન ગુપ્તાની આ દયા અરજી રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવી હતી. બાદમાં રાષ્ટ્રપતિ ભવનમાંથી આને દિલ્હી સરકાર પાસે મોકલવામાં આવી હતી. દિલ્હી સરકારે આ મામલે તિહાડ જેલ મેનેજમેન્ટ પાસેથી મળેલી જાણકારી પર વિચાર વિમર્શ બાદ અરજી ફગાવી દીધી હતી.

આ સાથે જ ફાઈલ ઉપરાજ્યપાલ અનિલ બૈજલ પાસે મોકલી દેવામાં આવી. એલજીએ પણ સરકારના નિર્ણય પર મહોર મારી દયા અરજી ગૃહમંત્રાલયને મોકલી આપી હતી. બાદમાં આ દયા અરજી રાષ્ટ્રપતિ પાસે હતી જેને રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે.

પટિયાલા હાઉસ કોર્ટ પહેલેથી નિર્ભયાના દોષિતો પવન અને અક્ષયની અરજી ફગાવી ચૂક્યા છે અને ડેથ વોરન્ટ પર રોક લગાવવા પર કોર્ટ ઈન્કાર કરી ચૂકી છે. પવન ઉપરાંત બાકીના ત્રણ દોષિત મુકેશ, અક્ષય, અને વિનયની ક્યુરેટિવ અરજી પહેલેથી સુપ્રીમ કોર્ટ ફગાવી ચૂકી છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પણ તેમની દયા અરજી ફગાવી ચૂક્યા છે.