મુંબઇમાં માધવબાગ ખાતે શ્રી લક્ષ્મી નારાયણ મંદિરનો ૧૫૦મો જયંતિ મહોત્સવ ખૂબ જ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો. આ ઐતિહાસિક સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર, મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી અને મલબાર હિલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મંગલપ્રભાત લોઢા, મંદિર ટ્રસ્ટના ભરતભાઇ શાહ, કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના મહેશભાઇ શાહ સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણી મહાનુભાવો પણ ઉપસ્થિત હતા.
કેન્દ્રિય ગુહમંત્રી અમિત શાહે આ પ્રસંગે કહ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૧૧ વર્ષના કાર્યકાળને સુવર્ણ અક્ષરોમાં નોંધવામાં આવશે. મજબૂત ઇચ્છાશક્તિના બળથી ઘણા વર્ષોથી અટવાયેલા ઐતિહાસિક નિર્ણયો તેમના કાર્યકાળ દરમિયાન લેવામાં આવ્યા છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ હવે એક બદલાયેલું ભારત છે, જે આપણી માતાઓ અને બહેનોના ઘરમાં ઘૂસીને તેમના કપાળ પર સિંદૂર લગાવનારાઓને ઠાર મારી નાખે છે. આજે આખું વિશ્વ ‘સિંદૂર’ શબ્દનો અર્થ અને તેનું મહત્વ સમજે છે. ઓપરેશન સિંદૂર દ્વારા આપણી માતાઓ અને બહેનોને ગર્વ અને સુરક્ષાનું આભાસ થયો છે.
પ્રધાનમંત્રીના કાર્યકાળમાં ભારત આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે એમ કહેતાં અમિતભાઇએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે માધવબાગ પરિવારને ૧૫૦ વર્ષની સેવા માટે અભિનંદન પાઠવતાં તેમણે સુચન કર્યું કે સંસ્થાના ૨૦૦ વર્ષે ગીતા, ઉપનિષદ અને વેદનું શિક્ષણ, માતૃભાષા માટે તાલીમ કેન્દ્ર અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ હોવી જોઈએ.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એમના સંબોધનમાં કહ્યું હતું કે, “માધવબાગ શ્રી લક્ષ્મી નારાયણ મંદિરના ૧૫૦ વર્ષ પૂર્ણ થવું પ્રસન્નતાજનક છે. આ અવસરે ગૃહમંત્રી અમિત શાહ સાથે હાજર રહેવાની તક મળી એ આનંદની વાત છે. અહીં ભગવાનની માત્ર મૂર્તિ નહિ, ભૌતિક હાજરી અનુભવાય છે તેથી સેવા કાર્ય સતત ચાલે છે. માધવબાગ ગાય સેવા અને સમાજસેવા જેવા રાહત કાર્યમાં હંમેશા આગળ રહ્યું છે. સમાજસેવામાં યોગદાન આપનારોને નમન કરું છું અને માધવબાગ પરિવારને શુભેચ્છા પાઠવુ છું”
આ મહોત્સવની શરૂઆત ખાસ પૂજાથી થઈ હતી. ત્યારબાદ સંગીત નાટક એકેડેમીના પ્રમુખ સંધ્યા પુરેચા અને સરફોજી રાજે ભોંસલે સંસ્થા દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
શ્રી લક્ષ્મી નારાયણ મંદિરની ૧૫૦મી જન્મજયંતિનો ઉત્સવ માત્ર ધાર્મિક ઉજવણી જ નહોતો, પરંતુ શ્રદ્ધા, સમાજ સેવા અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક પણ હતો. કાર્યક્રમનું આયોજન શ્રી લક્ષ્મી નારાયણ મંદિર અને માધવબાગ ચેરિટીના ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.
