‘વન નેશન વન ઇલેક્શન’ના પ્રસ્તાવને મોદી કેબિનેટની મંજૂરી

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીની આગેવાની હેઠળ કેબિનેટે દેશમાં વન નેશન વન ઈલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. મોદી કેબિનેટની બેઠકમાં દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાને મંજૂરી આપવામાં આવી છે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતા હેઠળની સમિતિએ વન નેશન વન ઈલેક્શન મુદ્દે 62 પાર્ટીઓનો સંપર્ક કર્યો હતો અને 47 રાજકીય પક્ષોમાંથી 32એ એકસાથે ચૂંટણી કરાવવાના વિચારને ટેકો આપ્યો હતો, જ્યારે 15 પક્ષોએ એનો વિરોધ કર્યો હતો અને 15 પક્ષોએ એના પર કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. જેના પરથી જ મોદી સરકારે આ નિર્ણય લીધો છે.

શું થશે એકસાથે ચૂંટણી યોજવાથી લાભ?

  • ચૂંટણી પર થતા કરોડોના ખર્ચની બચત થશે.
  • વારંવાર ચૂંટણી કરાવવાથી છુટકારો
  • ફોકસ ચૂંટણી પર નહીં, પણ વિકાસ પર રહેશે
  • વારંવાર આચારસંહિતાની અસર પડે છે.
  • બ્લેક મની પર લાગશે લગામ

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ ભલામણ કરી હતી કે પહેલાં પગલાં તરીકે લોકસભા અને રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે. સમિતિએ કહ્યું કે લોકસભા અને રાજ્યની વિધાનસભા ચૂંટણી એકસાથે પૂર્ણ થયા બાદ 100 દિવસમાં સ્થાનિક એકમોની ચૂંટણી યોજવામાં આવે. જેથી દેશભરમાં એક નક્કી મુદ્દત દરમિયાન તમામ લેવલની ચૂંટણી સંપન્ન થઈ જશે. હાલમાં રાજ્યની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ આયોજિત કરવામાં આવે છે.

PM મોદી કરે છે તરફેણ

વડા પ્રધાન મોદી છેલ્લા ઘણા સમયથી વન નેશન વન ઈલેક્શનની તરફેણ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે  હું દરેકને એક રાષ્ટ્ર, એક ચૂંટણીના સંકલ્પને હાંસલ કરવા માટે એકજૂટ થવા  વિનંતી કરું છું, તે સમયની જરૂરિયાત છે. લોકસભા ચૂંટણી પહેલાં પીએમ મોદીએ આ મુદ્દે કહ્યું હતું કે દરેક રાજ્યની સરકારો પાંચ વર્ષ શાસન કરે અને આ દરમિયાન ચૂંટણી ન યોજાય. હું હંમેશાં કહું છું કે ચૂંટણી ફક્ત ત્રણ કે ચાર મહિનામાં જ થઈ જવી જોઈએ. તેનાથી ચૂંટણીના સંચાલન પર થતા ખર્ચમાં ઘટાડો થશે.