લિકર કૌભાંડઃ આપના સાંસદ સંજય સિંહને ‘સુપ્રીમ’ રાહત

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને કોર્ટથી રાહત મળી છે. સંજય સિંહ જામીન પર બહાર આવ્યા પછી રાજકીય કામગીરીમાં ભાગ લઈ શકશે. જોકે સંજય સિંહને જામીન આપતી વખતે કોર્ટે આપ નેતાને સલાહ આપી હતી કે તેઓ દિલ્હીની લિકર નીતિથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલે કોઈ ટિપ્પણી ના કરે.

આ પહેલાં કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને સવાલ કર્યો હતો કે શું કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડના સંબંધમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખવાની જરૂર છે?.

સંજય સિંહની દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ચોથી ઓક્ટોબરે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પછી સંજય સિંહે દિલ્હી હાઈકોર્ટમાં જામીન માટે અરજી પણ કરી હતી, પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી. સંજયસિંહ સિંહને જામીન આપવાનો ઇનકાર કરતી વખતે ન્યાયાધીશે કહ્યું હતું કે પુરાવા દર્શાવે છે કે આરોપી મની લોન્ડરિંગમાં સંડોવાયેલો હતો.

સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજ સંજીવ ખન્ના, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરાલેની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી. સંજય સિંહના વકીલે કોર્ટને કહ્યું હતું કે મની લોન્ડરિંગની પુષ્ટિ થઈ નથી અને મની ટ્રેલ પણ મળી નથી. આમ છતાં સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે.

AAP સાંસદના વકીલની અરજી પર કોર્ટની બેન્ચે નોંધ્યું હતું કે સંજય સિંહના કબજામાંથી કોઈ પૈસા મળ્યા નથી અને તેમની પાસેથી રૂ. બે કરોડની લાંચ લેવાના આરોપોની તપાસ થઈ શકે છે.

EDએ વિરોધ નહોતો કર્યો

EDએ હાઈકોર્ટમાં AAP સાંસદની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સંજય સિંહે આ આધાર પર જામીન માગ્યા હતા કે તે ત્રણ મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં છે અને આ ગુનામાં તેની કોઈ ભૂમિકા નથી. તપાસ એજન્સીએ હાઈકોર્ટમાં જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે સંજય સિંહ પોલિસી પિરિયડ 2021-22થી સંબંધિત દિલ્હી દારૂ કૌભાંડમાંથી ઉઘરાવવામાં આવેલા ભંડોળને રાખવા, છુપાવવામાં અને ઉપયોગ કરવામાં સામેલ હતા.