ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા કાયદામાં બદલાવ કરવાના આપ્યા સંકેત

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા પર પૂર્વોત્તર રાજ્યોમાં હિંસા અને પ્રદર્શનો વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે પહેલીવાર નાગરિકતા કાયદામાં કેટલાક બદલાવના સંકેત આપ્યા છે. ધનબાદમાં એક રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે આ કાયદાને લઈને નોર્થ ઈસ્ટના લોકોમાં કેટલાક સંદેહ છે અને આને લઈને મેઘાલયના મુખ્યમંત્રીએ મારી સાથે મુલાકાત કરી. મેં તેમને ભરોસો અપાવ્યો છે કે ક્રિસમસ બાદ આનું કોઈ ને કોઈ સમાધાન જરુર કાઢી લેવામાં આવશે અને તેમને આ કાયદાને લઈને મુંઝાવાની જરુર નથી. નાગરિકતા સંશોધન કાયદા પર પૂર્વોત્તરમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપને આંચકો લાગ્યો છે.

પૂર્વોત્તરમાં ભાજપના પ્રમુખ સહયોગીઓમાંથી એક અસમ ગણ પરિષદે પહેલા આ કાયદાનું સમર્થન કર્યું હતું, પરંતુ હવે આના વિરોધની જાહેરાત કરી છે. અસમ ગણ પરિષદ (AGP) એ વરિષ્ઠ નેતાઓની એક બેઠક બાદ આ નિર્ણય કર્યો છે. તો અસમ ગણ પરિષદે એપણ કહ્યું છે કે તેઓ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે. આ મુદ્દે અસમ ગણ પરિષદની એક ટીમ ગૃહમંત્રીને પણ મળશે. એજીપી બીજેપીની આગેવાની વાળી અસમ સરકારનો પણ ભાગ છે અને રાજ્યની કેબિનેટમાં તેના ત્રણ મંત્રી પણ છે.