નાગરિકતા બિલનો વિરોધઃ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

અસમઃ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે બળ પ્રયોગ બાદ જામિયા મિલ્લિયા ઈસ્લામિયા ને 5 જાન્યુઆરી સુધી બંધ કરી દેવામાં આવી છે. પોલીસની બર્બરતા બાદ વિદ્યાર્થીઓ હોસ્ટેલ ખાલી કરીને ઘર તરફ નિકળી રહ્યા છે. તો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને પણ 5 જાન્યુઆરી સુધી બંધ કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસ પ્રમુખ ઓપી સિંહે જણાવ્યું કે આજે એએમયૂના કેમ્પસને ખાલી કરાવવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓને તેમના ઘરે મોકલવામાં આવી રહ્યા છે. જામિયાના વિદ્યાર્થીઓ સાથે પોલીસની બર્બરતા વિરુદ્ધ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

તો પ્રદર્શન દરમિયાન અટકાયત કરાયેલા આશરે 50 વિદ્યાર્થીઓને આજે સવારે છોડી દેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર 50 પૈકી 35 વિદ્યાર્થીઓને કાલકાજી પોલીસ સ્ટેશનથી અને 15 વિદ્યાર્થીઓને ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાંથી છોડી દેવામાં આવ્યા છે. આ પહેલા રવિવારે રાત્રે દિલ્હી અલ્પસંખ્યક આયોગે કાલકાજી પોલીસ સ્ટેશનના અધિકારીને જામિયાના ઘાયલ વિદ્યાર્થીઓને મુક્ત કરવા અથવા તો કોઈપણ વિલંબ વગર તેમને સારવાર માટે સારી હોસ્પિટલમાં લઈ જવાના આદેશ આપ્યા હતા. આયોગે અધિકારીને આજે બપોરે ત્રણ વાગ્યે રિપોર્ટ રજૂ કરવાનો પણ આદેશ આપ્યો હતો. ડીએમસીના પ્રમુખ ઝફરુલ ઈસ્લામ ખાને આદેશમાં કહ્યું કે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.