કોંગ્રેસ-TMCમાં ચાલતા શીતયુદ્ધથી વિપક્ષી એકતામાં ભંગાણ

નવી દિલ્હીઃ કોંગ્રેસ અને TMC વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધે વિપક્ષી એકતા પર સવાલ ઊભા કર્યા છે. આ શીતયુદ્ધ સંસદના શિયાળુ સત્રમાં ખૂલીને સામે આવી છે. વળી, TMC જેમ-જેમ દેશમાં વિસ્તરણ કરી રહી છે, તેમ-તેમ બંને પક્ષો વચ્ચે અંતર વધી રહ્યું છે. જોકે બંને પક્ષો ખુલ્લી રીતે ટકરાવાથી બચી રહ્યા છે.

આ વર્ષની 20 ઓગસ્ટની આસપાસ TMCનાં વડાં મમતા બેનરજીએ કોંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. એ વખતે બંને નેતાઓએ 10 જનપથથી એકજૂટ હોવાનો સંદેશ આપ્યો હતો. એ વખતે બેનરજીએ કહ્યું હતું કે વિપક્ષે કેન્દ્રમાં ભાજપ સરકાર સામે લડવા માટે એકસાથે આવવું જોઈએ. જોકે આજે સમય બદલાઈ ગયો છે. TMCના વિસ્તરણથી કોંગ્રેસને ખાસ્સુંએવું નુકસાન થયું છે.

આસામમાં મહિલા કોંગ્રેસપ્રમુખ સુષ્મિતા દેવ TMCમાં સામેલ થયાં છે, એ પછી એ વિસ્તરણ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને પછી મેઘાલયમાં પણ થયું છે. મેઘાલયમાં વિપક્ષના નેતા મુકુલ સંગમા સહિત ડઝનેક વિધાનસભ્યો TMCમાં સામેલ થયા હતા.

TMC અને કોંગ્રેસનું શીતયુદ્ધ સંસદમાં પણ શરૂ થયું છે. વળી, વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં પણ TMC ગેરહાજર હતી. આ ઉપરાંત કોંગ્રેસ સંસદમાં ધરણાં કર્યાં, ત્યારે પણ TMC સંસદસભ્યોએ એમાં ભાગ નહોતો લીધો. આ સાથે રાજ્યસભામાં 12 વિપક્ષના સંસદસભ્યો સસ્પેન્ડને મામલે વિપક્ષે બોલાવેલી બેઠકમાં પણ TMCએ ભાગ નહોતો લીધો. વળી આ મામલે 11 વિપક્ષી પાર્ટીએ સંયુક્ત નિવેદન આપ્યું, ત્યારે પણ TMCએ એનાથી નોખો ચોકો કર્યો હતો.