ચીને અરુણાચલ પ્રદેશથી લાપતા પાંચ યુવકોને ભારતને સોંપ્યા

ગૌહાટીઃ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ અરુણાચલ પ્રદેશના એ પાંચ પુરુષોને ભારતને સોંપી દીધા હતા, જે પાછલા દિવસોમાં લાપતા થયા હતા, એમ સેનાનાં સૂત્રોએ માહિતી આપી હતી. આ પહેલાં કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ પણ આ બાબતે ટ્વીટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ચીની PLAએ ભારતીય સેનાને અરુણાચલ પ્રદેશના યુવાનોને ભારતને સોંપવાની પુષ્ટિ કરી છે.

પાછલા શનિવારે એક મુખ્ય સ્થાનિક ન્યૂઝપેપરે એક અહેવાલ છાપ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તાગિન સમુદાયના પાંચ લોકો- જે નાચો શહેરની પાસે એક ગામમાં રહેતા હતા, તેમનું અપહરણ કરવામાં આવ્યું છે.

ન્યૂઝપેપરે લખ્યું હતું કે આ અપહરણ વખતે તેઓ જંગલમાં શિકાર માટે ગયા હતા. આ અહેવાલ એક સંબંધીના હવાલેથી છાપવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એ લોકોનું ચીની સેના દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું છે. આ દાવો એક સોશિયલ મિડિયા પોસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો, જે પોસ્ટ પછીથી વાઇરલ થઈ ગઈ હતી.