MPના મહાભારતમાં વળાંકઃ કમલનાથે ગવર્નરને પત્ર લખ્યો

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં મુખ્ય પ્રધાન કમલનાથ માટે રાજકીય મુસીબતો ઓછી થવાનું નામ નથી લેતી. ભાજપની ફ્લોર ટેસ્ટની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશની સરકારને અને વિધાનસભાના સ્પીકરને નોટિસ ફટકારીને બુધવાર સુધીમાં જવાબ આપવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે આવતી કાલે આ મુદ્દે સુનાવણી હાથ ધરવાની છે.  જોકે એ પહેલાં મુખ્ય પ્રધાન કમલનાથે રાજ્યપાલને એક પત્ર લખ્યો હતો. એ પત્રમાં તેમણે ખેદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે સંસદીય પરંપરાઓનું પાલન નહીં કરવાની તેમની મુરાદ નહોતી. મેં મારી 40 વર્ષના રાજકીય જીવનમાં હંમેશાં સન્માન અને મર્યાદાઓનું પાલન કર્યું છે. તમારો પત્ર 16 માર્ચ, 2020એ વાંચ્યા પછી હું દુખી છું. તમે મારી ઉપર સંસદીય મર્યાદાઓનું પાલન નહીં કરવાનો આરોપ મૂક્યો છે. મારો એવો કોઈ ઇરાદો નહોતો, પણ જો તમને લાગતું હોય તો હું ખેદ વ્યક્ત કરું છું.

તેમણે પત્રમાં કહ્યું હતું કે વિધાનભવનની કાર્યવાહી કોરોના વાઇરસને કારણે 26 માર્ચ 2020 સુધી સ્થગિત થઈ છે. આપ જાણો જ છો કેન્દ્ર સરકારે આ વિસે એક એડવાઇઝરી જારી કરી છે અને સમારોહ અને જાહેર સ્થળોએ ભીડથી બચવા નિર્દેશ આપ્યો છે. તમે પત્રમાં ખેદ વ્યક્ત કર્યો છે કે મારા દ્વારા સમયાવધિમાં વિધાનસભામાં બહુમત સિદ્ધ કરવામાં મેં આનાકાની કરી છે, પણ આપના ધ્યાને લાવવા માગું છું કે  છેલ્લા 15 મહિનાઓમાં મેં વિધાનભવનમાં ઘણી વાર મારી બહુમતી સિદ્ધ કરી છે.

ભાજપ અવિશ્વાસ લાવે

ભાજપ મારી સરકાર પાસે બહુમતી નથીનો આરોપ લગાવી રહી છે તો તે અવિશ્વાસ પ્રસ્તાવ માધ્યમથી ફ્લોર ટેસ્ટ કરાવી શકે છે. મારી જાણમાં આવ્યું છે કે તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી દીધો છે, જે વિધાનસભા અધ્યક્ષ પાસે પેન્ડિંગ છે. વિધાનસભાના નિયમો અનુસાર અધ્યક્ષ એની પર કાર્યવાહી કરશે તો એ સિદ્ધ થઈ જશે કે અમારી સરકાર પાસે વિધાનસભામાં બહુમતમાં છે કે નહીં.

16 કોંગ્રેસના વિધાનસભ્યોનો સ્વતંત્ર થવા દો

તેમણે પત્રમાં કહ્યું હતું કે ભાજપે મધ્ય પ્રદેશના જે વિધાનસભ્યોને બંધી બનાવ્યા છે એ 16 વિધાનસભ્યોને સ્વતંત્ર થવા દો અને પાંચ-સાત દિવસમાં ખુલ્લા વાતાવરણમાં રહેવા દો, એ પછી તેઓ સ્વતંત્રરૂપે નિર્ણય લઈ શકે. તમે મને 17 માર્ચ, 2020એફ્લોર ટેસ્ટ કરવાનું કહો છો અને હું બહુમત સિદ્ધ ના કરું તો એમ માનવામાં આવશે કે મારી પાસે  વિધાનસભામાં બહુમત નથી, જે આધારહીન અને ગેરબંધારણીય છે.

સુપ્રીમ કોર્ટે પણ મધ્ય પ્રદેશ વિધાનસભામાં તત્કાળ શક્તિ પરીક્ષણ કરાવવાની ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણની અરજી પર કમલનાથ સરકાર પાસે બુધવાર સુધીમાં જવાબ માગ્યો છે