અમદાવાદ: ચોમાસું શરૂ થતાં જ તહેવારો ઉત્સવો ઉજવાય અને મેળા ભરાય. એમાંય હિંદુ ધર્મ દરેક જીવમાં કુદરતની અનુભુતિ કરે છે. जीवो जीवस्य जीवनम्… દરેક જીવ બીજા જીવ પર આધારિત છે. એ બાબતમાં સનાતન ધર્મ અને સાયન્સ એકદમ નજીક છે. નાગ પાંચમે જીવની પૂજા થાય. શ્રાવણ વદ પાંચમને દિવસે મોટાભાગના પરિવારોના ઘરમાં નાગ પાંચમીની પૂજા થાય. કેટલાક પ્રાંત અને સમાજમાં મોટી ઉજવણીઓ થાય.ધર્મ, પ્રાંત, સંપ્રદાય, પરંપરાથી વસેલા ભારત દેશમાં અનેક જીવો પૂજાય છે. એમાંય હિંદુ ધર્મમાં કેટલાક જીવોને ભગવાનની સમકક્ષ દરજ્જો આપી પૂજવામાં આવે છે. એમનાં મંદિરો પણ બનાવવામાં આવે છે. લાખો જીવોનું કલ્યાણ થાય, સન્માન થાય અને પૂજા થાય એવી દરેક માટે પ્રાર્થના પણ હિંદુ ધર્મમાં કરવામાં આવે છે. પૃથ્વી પરના જીવ નાગનું પૂજન નાગપાંચમીના દિવસે કરવામાં આવે છે. પુરાણોમાં, દંત કથાઓમાં અને વિવિધ પ્રાંતોમાં નાગના મહત્વનો ઉલ્લેખ સદીઓથી કરવામાં આવ્યો છે. નાગને દેવતા રૂપે રજૂ કરી એના મંદિરો બનાવી પૂજા અર્ચના પણ કરતો ભારતમાં એક મોટો વર્ગ છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. આ દેશના મોટા ભાગના ખેડૂત સાપ અને નાગને સકારાત્મક દ્રષ્ટિએ જૂએ છે. સંસ્કૃતિ અને આસ્થાને કારણે ઘણાં પ્રાંતના લોકો નાગનું પૂજન કરે છે.
આ વર્ષે શ્રાવણ માસના બુધવારે નાગ પંચમી હોવાથી નાગ દેવતા સ્થાપિત હોય એ મંદિરોમાં શ્રધ્ધાળુઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. શહેરના શાહીબાગ વિસ્તારમાં સાબરમતી નદીના તટ પર આવેલા નાગ દેવતાના મંદિરના પ્રાંગણમાં તેમજ શહેર ગામના નાના મોટા મંદિરોમાં નાગ પાંચમીની પૂજા અર્ચના કરવામાં આવી હતી.સાણંદ પાસે કાણેટી ગામમાં નાગ દેવતાનું અલાયદું મંદિર છે. વિરમગામ પાસે વિરોચનનગરમાં પણ ખેતિયા નાગરાજનું મંદિર છે. આ સાથે નાગરાજાની સ્થાપના થઈ હોય અને એની પૂજા કરી ઉત્સવ થતાં હોય એવા ઘણાં મંદિરોનું નિર્માણ થયું છે. શ્રાવણની નાગ પંચમીના દિવસે ગુજરાતમાં કેટલાક શ્રધ્ધાળુઓ નાગ દેવતા સમક્ષ દુધની સાથે નાળિયેર તેમજ બાજરીના લોટની કુલેરને પ્રસાદ રૂપે ધરાવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)
