‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ નિમિત્તે યૂટ્યૂબ પર સિતાંશુ યશશ્ચંદ્રનું ચિંતનાત્મક વ્યાખ્યાન

મુંબઈઃ કળા, સાહિત્ય, સંસ્કૃતિ અને વિજ્ઞાનનો સમન્વય સાધી એમના પ્રચાર અને પ્રસારનું કાર્ય કરતી અત્રેના કાંદિવલી ઉપનગરની સંસ્થા ‘સંવિત્તિ’ના ઉપક્રમે ૨૪ ઑગસ્ટ, ૨૦૨૦ના રોજ વીર નર્મદના જન્મદિવસ, જેને ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, તેની ઉજવણી રૂપે એક ચિંતનાત્મક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. વિષય છે: ‘સશક્ત સમાજનું સાહિત્ય, સશક્ત સાહિત્યનો સમાજ’.

આ વ્યાખ્યાનના વક્તા છે, મેધાવી સર્જક, સાહિત્ય મીમાંસાના ઊંડા અભ્યાસી અને મર્મજ્ઞ કવિશ્રી સિતાંશુ યશશ્ચંદ્ર.

વ્યાખ્યાન વિશે સંક્ષિપ્ત રૂપરેખા

¤ ભાષા સાથે, આપણી માતૃભાષા સાથે આપણો સંબંધ કેવો?, જગતભરમાં ફેલાયેલી અંગ્રેજીની જેમ ભાષાને જીવંત રાખવા માટે અંગ્રેજો જેવું વિશ્વવ્યાપક સાંસ્થાનિક સામ્રાજ્ય જરૂરી છે? એ જ રીતે સંસ્કૃત ભાષા બૃહદ્ વ્યાપમાં કેવી રીતે ફેલાઈ?, એનું મૂળ રાજસત્તા નહીં, સાહિત્યસત્તા અને જ્ઞાનસત્તા હતાં. ગુજરાતી ભાષા એ બે શક્તિમત્તા કઈ રીતે મેળવી શકે?,  વાણિજ્ય વિશેષજ્ઞતા, રાજકીય કે ધાર્મિક સંગઠનથી સમર્થ બનેલી ગુજરાતી પ્રજાનું સાહિત્ય કેવું હોય?,  નરસિંહ-મીરાં, અસાઈત-અખો, પ્રેમાનંદ-શામળ, નર્મદ, નાનાલાલ, ગોવર્ધનરામ, ગાંધી, ઉમાશંકર-સુંદરમ, પન્નાલાલ-દર્શક, રાજેન્દ્ર-નિરંજન આદિથી સશક્ત અને સમર્થ બનેલા સાહિત્યથી પોષાયેલી પ્રજા કેવી હોય?,  ૨૧મી સદીમાં ગુજરાતી ભાષાનું જ્ઞાનસામર્થ્ય કઈ રીતે કેળવવું?

આવા સાત મુદ્દાઓને આવરી લેતું વ્યાખ્યાન – સોમવાર, તા. ૨૪ ઑગસ્ટ, ૨૦૨૦ની સવારે ૧૧.00 વાગ્યે યૂટ્યૂબ પર મૂકવામાં આવશે. આ કાર્યક્રમને આપ યૂટ્યૂબ પર samvitti ek jagruti લખીને જોઈ શકશો.

વધુ માહિતી માટે સંપર્ક – કીર્તિભાઈ શાહ – 9323656339