ભાજપ છે શિવસેનાનો મુખ્ય શત્રુ; રાહુલ બદલાઈ ગયા છે: સંજય રાઉત (શિવસેના)

મુંબઈ – શિવસેના પાર્ટીના રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે સીધા શબ્દોમાં, સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમારી પાર્ટીનો મુખ્ય શત્રુ છે ભારતીય જનતા પાર્ટી.

રાઉતે એમ પણ જણાવ્યું કે, મહારાષ્ટ્રની સરકારમાં અમે માત્ર નામ ખાતર ભેગા છીએ.

મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની ભાજપ-શિવસેના સંયુક્ત સરકારે આજે ત્રણ વર્ષ પૂરા કર્યા છે એવા ટાણે રાઉતનું આ નિવેદન આવ્યું છે.

રાઉતે કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં રાહુલમાં ઉલ્લેખનીય ફેરફાર જોવા મળ્યો છે.

રાઉતે નાશિકમાં પત્રકારો સાથેની વાતચીતમાં વધુમાં કહ્યું હતું કે, સરકારની માલિક તો ભાજપ છે. અમે તો એમાં માત્ર નામ ખાતર ભેગા છીએ. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને ટાર્ગેટ બનાવવાને બદલે ભાજપ શિવસેનાને ટાર્ગેટ બનાવે છે. એટલે તેઓ (ભાજપ) અમારા મુખ્ય શત્રુ છે.

રાહુલ ગાંધી વિશે રાઉતે કહ્યું કે, નેતા એ હોય જેને જનતા સ્વીકારતી હોય. ૨૦૧૪ની સાલ પછી રાહુલ ગાંધીમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે. એમને સાંભળવાનું લોકોને હવે ગમે છે.