ગણેશોત્સવમાં કોરોના સંક્રમણને ટાળવા કલમ-144 લાગુ

મુંબઈઃ દેશભરમાં ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ભાદરવા સુદની ચોથે ભગવાન ગણપતિનો જન્મોત્સવ ઊજવવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સહિત દેશમાં ગણપતિ મોર્યાની પૂજા ધામધૂમથી કરવામાં આવે છે. જોકે આ વખતે મુંબઈમાં જાહેર પંડાલોમાં દર્શનની મંજૂરી નથી આપવામાં આવી. ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જે શહેરમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.

મુંબઈ પોલીસે ગણેશોત્સવોમાં કોરોના સંક્રમણ ન વધે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર ગણેશોત્સવ નિમિત્તે શહેરમાં પાંચથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મુંબઈના લોકો હવે ગણપતિ બાપ્પાને ઓનલાઇન જ દર્શન કરી શકશે, ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનાઓમાં કહેવામાં આવ્યું હતું કે તહેવાર નિમિત્તે દરેક વ્યક્તિએ સામાજિક અંતરનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

ગુરુવારે મુંબઈમાં કોરોનાના વધુ 530 નવા કેસ સામે આવ્યા છે. તહેવારોમાં ફરીથી કોરોના સંક્રમણ બેકાબૂ ન બને એ માટે શહેરમાં કલમ 144 લાદવામાં આવી છે. પોલીસ કમિશનર એસ. ચૈતન્ય દ્વારા જાહેર કરાયેલા આદેશમાં BMC અને ગૃહ વિભાગની સૂચનાઓ ટાંકવામાં આવી છે.

કોરોનાની ત્રીજા લહેરના ખતરાને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ સરકાર કોઈ પણ પ્રકારની બેદરકારી લેવા માંગતી નથી. BMC એ ગણેશોત્સવ માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી. BMCએ  જણાવ્યુ હતું કે પંડાલોમાં અને વિસર્જન દરમિયાન 10થી વધુ લોકોને ગણપતિની મૂર્તિમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉપરાંત માત્ર પાંચ લોકો તેમના ઘરે ગણપતિ લાવવા માટે હાજર રહી શકશે.