જિયોમાર્ટે મહેન્દ્રસિંહ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા

મુંબઈઃ  દેશના અગ્રણી ઇ-માર્કેટપ્લેસીસમાંના એક રિલાયન્સ રિટેલના જિયોમાર્ટે ભારતીય ક્રિકેટ આઇકોન મહેન્દ્રસિંહ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરારબદ્ધ કર્યા છે. આ ઉપરાંત જિયોમાર્ટે તેના તહેવારો માટેના કેમ્પેન જિયોઉત્સવ, સેલિબ્રેશન ઓફ ઇન્ડિયાને નવા રંગરૂપ આપ્યા છે. આ ઉત્સવ આઠ ઓક્ટોબરથી શરૂ થશે.

જિયોઉત્સવ કેમ્પેન એ બાબત પર ભાર મૂકે છે કે ધોનીએ દેશને ઉજવણી કરવા માટે ઘણા પ્રસંગો આપ્યા છે, પરંતુ ઉત્સવોની ઉજવણીનો ભાગ બનવાનું ચૂકી ગયો છે. જેથી નવીન ઉત્સાહ સાથે ધોની તેના પ્રિયજનો સાથે ખુશીની તમામ ક્ષણો, તહેવારો અને ખાસ પ્રસંગો ઊજવવા માટે સંકલ્પબદ્ધ છે.

જિયોમાર્ટના CEO સંદીપ વારાંગતીએ જણાવ્યું હતું કે અમને અમારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે MS ધોની સૌથી સુસંગત લાગે છે. તેમનું વ્યક્તિત્વ જિયોમાર્ટની જેમ વિશ્વાસ, ભરોસો અને ખાતરીને પ્રદર્શિત  કરે છે. અમારું નવું કેમ્પેન જીવન અને જીવનની તમામ ખાસ ક્ષણોને પ્રિયજનો સાથે ઊજવવા માટે પ્રોત્સાહિત કરે છે, ‘શોપિંગ’ આ ઉજવણીનું અભિન્ન અંગ છે. નોન-મેટ્રો વિસ્તારો હાલમાં અમારા સરેરાશ વેચાણમાં લગભગ 60 ટકા જેટલો હિસ્સો ધરાવે છે, જે ક્રમશઃ વૃદ્ધિની નિશાની છે અને ડિજિટલ રિટેલનો પ્રસાર કરવાના અમારા પ્રયાસોના ફળનું પ્રમાણપત્ર છે.જિયોમાર્ટ હંમેશાં સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્લેટફોર્મ હાલમાં 1000થી વધુ કારીગરો સાથે કામ કરે છે, 1.5 લાખ અનન્ય ઉત્પાદનોનું વેચાણ કરે છે. વાસ્તવમાં કેમ્પેનના શૂટિંગના ભાગરૂપે વારાંગતીએ બિહારથી ધોનીને પુરસ્કાર વિજેતા કારીગર અંબિકા દેવી દ્વારા બનાવેલું મધુબની પેઇન્ટિંગ આપ્યું હતું.

આ પ્રસંગે ધોનીએ જણાવ્યું હતું કે હું જિયોમાર્ટનાં મૂલ્યોને સારી રીતે ઓળખું છું અને તેનું સમર્થન કરું છું, એક સ્વદેશી ઈ-કોમર્સ બ્રાન્ડ હોવાને કારણે તેઓ ભારતમાં ડિજિટલ રિટેલ ક્રાંતિને સમર્થન આપવાના હેતુથી પ્રેરિત છે. ભારત તેની જીવંત સંસ્કૃતિ, લોકો અને તહેવારો માટે જાણીતું છે. જિયોમાર્ટનું જિયોઉત્સવ કેમ્પેન એ ભારત અને તેના લોકોના ઉત્સવની ઉજવણી છે. હું જિયોમાર્ટ સાથે જોડાવા અને લાખો ભારતીયોના શોપિંગ અનુભવનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.