ફડણવીસ-રાજ ઠાકરેએ કરી ‘લંચ-પે-ચર્ચા’: મહારાષ્ટ્રના રાજકારણ વિશે અટકળો

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા, ભાજપના વિધાનસભ્ય અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે બપોરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેને એમના નિવાસસ્થાને જઈને મળતાં રાજકીય વર્તુળોમાં જાતજાતની અટકળો લગાવવામાં આવી રહી છે. ફડણવીસ એમના પત્ની અમૃતાની સાથે દાદર (વેસ્ટ)ના શિવાજી પાર્ક સ્થિત રાજ ઠાકરેના નવા નિવાસસ્થાન ‘શિવતીર્થ’ ખાતે જઈને મળ્યા હતા અને એમની સાથે લંચ પણ લીધું હતું. રાજ ઠાકરેની સાથે એમના પત્ની શર્મિલા અને મોટો પુત્ર અમિત ઉપસ્થિત હતાં.

‘મનસે’ના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ કહ્યું કે ઠાકરે પરિવારે ફડણવીસ દંપતીને એમનાં ઘેર લંચ માટે આમંત્રિત કર્યા હતા. પરંતુ એમની વચ્ચે શું વાતચીત થઈ એની પોતાને જાણ નથી. ક્રિકેટર સચીન તેંડુલકર અને ભાજપના સ્થાનિક નેતાઓ – આશિષ શેલાર અને પ્રસાદ લાડ પણ આ પહેલાં રાજ ઠાકરેના નવા નિવાસસ્થાનની મુલાકાત લઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ મહાનગરપાલિકા સહિત મહારાષ્ટ્રમાં અનેક મોટી મહાનગરપાલિકાઓની ચૂંટણી આવતા વર્ષના ફેબ્રુઆરીમાં નિર્ધારિત છે અને તે માટે ભાજપ અને મનસે ચૂંટણી જોડાણ કરશે એવી ચર્ચા થઈ રહી છે. શિવસેના-નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી-કોંગ્રેસ શાસિત મહાવિકાસ આઘાડી સરકાર 28 નવેમ્બરે તેના શાસનનું બીજું વર્ષ પૂરું કરશે.