‘मेरा बाप चारा चोर…’, પટનામાં લાગ્યા લાલુ-તેજસ્વીનાં વિવાદિત પોસ્ટર

પટનાઃ વડા પ્રધાને પાટણામાં સંબોધિત રેલી બાદ વિપક્ષના નેતા તેજસ્વી યાદવે આપેલા નિવેદનથી બિહારની રાજકારણમાં ગરમાટો આવ્યો છે. NDAના નેતાઓએ તેજસ્વી યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યાર બાદ હવે રાજ્યભરના ઘણા વિસ્તારોમાં લાલુપ્રસાદ યાદવ અને તેમના પુત્ર તેજસ્વી યાદવનાં વિવાદાસ્પદ પોસ્ટર પણ જોવા મળ્યાં છે. આ પોસ્ટરમાં લાલુ અને તેજસ્વી ભેંસ પર બેસેલા દેખાડવામાં આવ્યા છે અને તેની ઉપર લખ્યું છે: ‘મારો બાપ ચારાનો ચોર…મને મત આપો.

 જોકે નગર નિગમે આ વિવાદાસ્પદ પોસ્ટરો હટાવી નાખ્યાં હતાં. આ પોસ્ટર કોણે લગાવ્યા છે, તેની કોઇ સ્પષ્ટ માહિતી મળી નથી.

વડા પ્રધાન મોદી અને મુખ્ય મંત્રી વિશે તેજસ્વી યાદવના નિવેદન પર બિહારના ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે PMની સભામાં ભીડ જોઈને લાલુ યાદવનો આખો પરિવાર હતાશ અને નિરાશ થયો છે. તેમણે કહ્યું હતું કે તેજસ્વી યાદવ જે પ્રકારનાં નિવેદન આપી રહ્યા છે તે અમિતાભ બચ્ચનની ફિલ્મની યાદ અપાવે છે. બિહારમાં ચારા ચોરી થઈ હતી, જેવી રીતે ફિલ્મમાં અમિતાભના હાથ પર ‘મારો બાપ ચોર છે’ લખ્યું હોય તેમ હવે તેજસ્વીએ પણ લખાવવું પડશે.


તેજસ્વી યાદવે શું કહ્યું હતું?
પટનામાં RJDની પ્રદેશ ઓફિસમાં પ્રદેશાધ્યક્ષની હાજરીમાં તેજસ્વી યાદવે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું હતું કે  અમને નેતા તરીકે પોકેટમાર PM નથી જોઈતા. તેઓ એટલાથી અટક્યા નહિ, તેમણે CM નીતીશકુમાર પર પણ કટાક્ષ કરતાં કહ્યું હતું કે  અમને બેહોશ મુખ્ય મંત્રીની જરૂર નથી. તેજસ્વી યાદવે પીએમ મોદીના ભાષણને જૂનું અને ટેલીપ્રોમ્પટર આધારિત ગણાવ્યું હતું.