લખનઉમાં રસ્તાથી લઈને વિધાનસભા, સર્વત્ર ભરાયા વરસાદી પાણી

લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં મૂશળધાર વરસાદના પગલે માત્ર રસ્તાઓ પર જ નહીં, પરંતુ વિધાનસભા પરિસરમાં પણ પાણી ઘુસી ગયા છે. રિપોર્ટ્સ અનુસાર, વિધાનસભા પરિસરમાં પાણી ભરાતા મુખ્યમંત્રીને બીજા ગેટથી બહાર કાઢવામાં આવ્યા હતા. વિધાનસભા ગેટ નંબર સાત પર પાણી ભરાઈ ગયા હતા. તેમજ સચિવાલયના રૂમોમાં પણ પાણી ઘુસી  ગયા હોવાના અહેવાલો મળ્યા છે. લખનઉ મુખ્યમંત્રી આવાસની સામે પણ પાણી ભરાઈ ગયા હતા.

લખનઉ શહેરના અન્ય ઓફિસમાં પણ વરસાદના પાણી ભરાયા છે, જેમાં લખનઉ નગર નિગમની ઓફિસ પણ સામેલ છે. પાણી ભરાયા બાદ સપાના વરિષ્ઠ નેતા શિવપાલ સિંહ યાદવે યોગી સરકાર પર આક્ષેપો કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, બજેટની સૌથી વધુ આવશ્યકતા ઉત્તરપ્રદેશ વિધાનસભાને છે. મૂશળધાર વરસાદમાં આ સ્થિતિના કારણે રાજ્ય હવે ભગવાન ભરોસે છે.

પાણી ભરાવાને કારણે આખી વિધાનસભા પાણીમાં ડૂબી ગઈ હતી. વિધાનસભાના ભોંયતળિયેના સમગ્ર રૂમોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદના પાણીમાં અનેક વસ્તુઓ પણ ભીની થઈ ગઈ હતી. અહીં કામ કરતા કર્મચારીઓ પણ વરસાદી પાણીના કારણે પરેશાન હતા. એટલું જ નહીં, વિધાનસભાની છત પરથી પણ વરસાદી પાણી ટપકતું હતું.

હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વીજળીના કડાકા સાથે લખનઉમાં ભારે વરસાદની આગાહી કરી છે. લખનઉના નાગરિકોને કામ સિવાય ઘરની બહાર ન  નીકળવા માટે એલર્ટ કરાયા છે. તેમજ અસુરક્ષિત મકાનો, બિલ્ડિંગ કે વૃક્ષથી દૂર રહેવા સલાહ પણ આપી છે. હાલમાં તો વિધાનસભા સેશનના ત્રીજા દિવસે મૂશળધાર વરસાદના કારણે ધારાસભ્યો તેમજ વિધાનસભાના કર્મચારીઓની મુશ્કેલીઓ વધી હતી. વરસાદના પાણી વિધાનસભાના ગ્રાઉન્ડ ફ્લોર પર ફરી વળ્યા હતા.