કિંગ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને કરી અલવિદા

નવી દિલ્હીઃ અનુભવી સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. કોહલીએ 14 વર્ષ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી છે. કોહલી પહેલાં રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો.

વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને ટેસ્ટ ક્રિકેટમાંથી પણ વિદાય લેતાં સંન્યાસ લીધો હતો. કોહલીએ રોહિત શર્માના માર્ગે ચાલતા થોડા દિવસો અગાઉ  ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ BCCIને તેના આ નિર્ણય વિશે જણાવી દીધું હતું. BCCI તેને આ નિર્ણય પાછો ખેંચી લેવા મનાવવા પ્રયાસ કરી રહ્યું હતું. જોકે વિરાટે BCCIની વાત માની નહોતી. વિરાટે ટેસ્ટ ક્રિકેટમાં 2011માં ડેબ્યુ કર્યું હતું. તેણે ટેસ્ટમાં 9000થી વધુ રન બનાવ્યા હતા અને 30 સદી ફટકારી હતી.

વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટમાં લખ્યું કે 14 વર્ષ પહેલાં ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર બેગી બ્લુ જર્સી પહેરીને પ્રવેશ લીધો હતો. સાચું કહું તો, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કેવા પ્રવાસ પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને ઘડ્યો, અને મને એવા પાઠ શીખવ્યા જેનું હું મારા બાકીના જીવનમાં અનુસરણ કરીશ.

વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી સંન્યાસ લઈ રહ્યો હોવાની શનિવારે જાહેરાત કરી હતી. વિરાટની આ જાહેરાત બાદથી BCCI સતત તેને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે મનાવી રહ્યું હતું. હાલમાં જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. જેથી BCCIને આગામી ટેસ્ટ ટુર્નામેન્ટ (ઈંગ્લેન્ડ પ્રવાસ) માટે મજબૂત ખેલાડીની શોધ રહેશે.