જૂનાગઢના મહિલા મેયર સામે પોલીસ ફરિયાદ દાખલ

જૂનાગઢ– જૂનાગઢ ભાજપના મહિલા મેયર સામે સરકારી નાણાંની ઉચાપતની ફરિયાદ થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, અને મેયર સામે ફરિયાદ થતાં સ્થાનિક લેવલે ભારે રોષ જોવા મળ્યો હતો.

જૂનાગઢ મહાનગર પાલીકાના મહિલા મેયર આદ્યશક્તિ મજમુદાર સામે જૂનાગઢ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. જૂનાગઢમાં આવેલ નવજીવન કોલેજના ટ્રસ્ટના પ્રમુખ ઋષિકેશ મર્થક અને પ્રિન્સીપાલ સહીતના 7 ટ્રસ્ટીઓએ શિષ્યવૃત્તિના રૂપિયા 30.90 લાખના નાણાંની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં દલીત વિદ્યાર્થીઓની શિષ્ય વૃત્તિના ખોટા નામો આપી ને શિષ્યવૃત્તિના રૂપિયા ચાઉ કરી ગયાની ફરિયાદ નોંધાતા ચૂંટણી સમયે ગરમાવો જોવા મળી રહ્યો છે. હાલ સમગ્ર પ્રકરણની તપાસ જૂનાગઢ DYSP એમ.એસ.રાણા ને સોંપવામાં આવી છે, ત્યારે પોલીસે આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

દલિત સંગઠન દ્વારા ઘણા સમયથી નવજીવન કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા શિષ્યવૃત્તિના નામે મોટું કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ સમાજ કલ્યાણ અધિકારીને કરી હતી અને ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, ત્યારે સમગ્ર પ્રકરણની તપાસ સમાજ કલ્યાણ અધિકારીએ કરતા સરકારી નાણાંની ઉચાપત થઈ હોવાનું બહાર આવતાં તેને જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ લેવા આદેશ કર્યો હતો.

દલિત સમાજના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિના લાખો રૂપિયાનું કૌભાંડ ચાલતું હોવાની વાત દલિત સંગઠનને મળતા મામલો ગરમાયો હતો અને આ સમગ્ર મામલો RTI દ્વારા સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું અને જૂનાગઢથી ગાંધીનગર સુધી લડત ચલાવી હતી, ત્યારે આજે જૂનાગઢ મહિલા મેયર અને તેના પતિ ટ્રસ્ટી પ્રમુખ અને પ્રિન્સિપાલ સહિત સામે ફરિયાદ નોંધાતા દલિત આગેવાનો એ હજુ રાજ્યમાં આવી અનેક કોલેજ છે, જેમાં મોટું કૌભાંડ થયાનું જણાવ્યું હતું.