ઝારખંડ: સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ મોટા નિર્ણયની જાહેરાત કરતા રાજ્યના આરોગ્ય મંત્રી ડૉ. ઇરફાન અંસારીએ જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી હેમંત સોરેનના સ્વસ્થ ઝારખંડના સ્વપ્નને સાકાર કરવા માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે. આ પ્રતિબંધ માત્ર એક નિયમ નથી, પણ ઝારખંડના યુવાનોને વ્યસનના ભરડામાંથી બચાવવા માટે એક ક્રાંતિકારી પહેલ છે.”
શું કહ્યું સ્વાસ્થ્યમંત્રીએ?
સ્વાસ્થ્ય મંત્રી ડૉ. અન્સારીએ કહ્યું, “આરોગ્ય સાથે રમત કોઈ પણ કિંમતે સહન નહીં કરવામાં આવશે નહીં. ગુટખા અને પાન મસાલાના કારણે કેન્સર જેવાં જીવલેણ રોગો ઝડપથી વધી રહ્યા છે. આપણા યુવાનો ધીમે-ધીમે મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છે અને હું તેમને મારી નજર સામે મરતા ન જોઈ શકું. એક ડૉક્ટર હોવાને કારણે હું જાણું છું કે, આ ઝેર શરીરને કેટલી હદ સુધી નષ્ટ કરી શકે છે. જ્યારે જનતાએ મને આરોગ્ય મંત્રી બનાવ્યો છે, ત્યારે મારી પહેલી ફરજ તેમના જીવનનું રક્ષણ કરવાની છે.”
મંત્રીએ સ્પષ્ટતા કરી કે ગુટખાનું વેચાણ, સંગ્રહ અથવા સેવન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગુટખા માફિયાઓ અને ગેરકાયદેસર વેપારીઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. જો કોઈ દુકાન, ગોડાઉન કે વ્યક્તિ પાસેથી ગુટખા મળી આવશે તો કડક કાયદાકીય કાર્યવાહી તો કરવામાં આવશે જ, સાથે ગોડાઉનને સીલ પણ કરવામાં આવશે. આ આદેશનું કડક પાલન કરવા આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રને કડક સૂચનાઓ આપવામાં આવી છે.
મહિલાઓની અપીલ પર નિર્ણય
ડૉ. અન્સારીએ કહ્યું, “માતાઓ અને બહેનો સતત મને વિનંતી કરી રહી હતી કે તેમના બાળકો અને ભાઈઓ નશા-વ્યસનના ચુંગાલમાં ફસાઈને પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. મેં તેમનું દુઃખ સમજીને આ મક્કમ નિર્ણય લીધો. આ ફક્ત પ્રતિબંધ નથી, પરંતુ કેન્સરને કારણે પોતાના બાળકો ગુમાવનારા પરિવારોને સાચી શ્રદ્ધાંજલિ છે.”
