ભારત સરકાર કોરોના-રસીની નિકાસ કદાચ ઘટાડશે

વોશિંગ્ટનઃ દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાનું બીજું તીવ્ર મોજું ફેલાયું છે અને કેસો-દર્દીઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે ત્યારે વધુ લોકોને રસી આપવાનું જરૂરી બન્યું છે. તેથી કેન્દ્ર સરકાર દુનિયાના દેશોને ભારતમાં નિર્મિત કોરોના-વિરોધી રસીની નિકાસ પર કાપ મૂકે એવી સંભાવના છે.

ગ્લોબલ અલાયન્સ ફોર વેક્સિન્સ એન્ડ ઈમ્યુનાઈઝેશન (GAVI)ના સીઈઓ સેટ બર્કલેનું કહેવું છે કે ભારત દેશ દુનિયાના વિકાસશીલ દેશો માટે સૌથી મોટો રસી સપ્લાયર છે. પરંતુ હાલ ભારતમાં રોગચાળાનું નવું મોજું ફેલાયું હોવાને કારણે ભારત સરકારને પોતાના દેશમાં જ રસીકરણ ઝુંબેશનો વ્યાપ-કદ વધારવા પડ્યા છે, વધુ ડોઝ દેશની જનતા માટે ફાળવવાની જરૂર ઊભી થઈ છે તેથી તેઓ દુનિયાના દેશોને રસીના ડોઝની સંખ્યા ઘટાડે દે એવી સંભાવના છે.