ઈમરાન સરકારે હાફિઝ સઈદના આતંકી સંગઠનો પરથી પ્રતિબંધો હટાવ્યા

ઈસ્લામાબાદ- આતંકવાદીઓ માટે પાકિસ્તાનની સહાનુભૂતિ ફરી એક વખત સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ પર પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર ફરી મહેરબાન થઈ છે.આતંકવાદી હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા અન ફલાહ એ ઈન્સાનિયત પરથી પાકિસ્તાન સરકારે પ્રતિબંધ ઉઠાવી લીધો છે.

આ પહેલા પાકિસ્તાનના જ પૂર્વ રાષ્ટ્રપતિએ અધ્યાદેશ બહાર પાડીને હાફિઝના સંગઠનો પર પ્રતિબંધ મુક્યો હતો. જોકે હવે ઈમરાન ખાન સરકાર આ પ્રતિબંધ લંબાવવા નથી માગતી.

ઈમરાન ખાન સરકારની આ કાર્યવાહીથી પાકિસ્તાનની આબરુને આંતરાષ્ટ્રીય સ્તરે ફરી ફટકો લાગ્યો છે. સાથે સાથે નવી સરકાર આંતકવાદીઓ સામે કડક હાથે કામ લેશે તેવી આશા રાખવી પણ હવે નકામી છે.

હાફિઝ સઈદના વકીલે કોર્ટમાં દલીલ કરતા જણાવ્યું કે, પાકિસ્તાન સરકારે આ અધ્યાદેશને આગળ વધાર્યો નથી ત્યારે તેની કાયદેસરતા પણ હવે રહેતી નથી.