રશિયા-યુક્રેન યુદ્ધ PM મોદી જ અટકાવી શકેઃ અમેરિકા

વોશિંગ્ટનઃ PM મોદી રાષ્ટ્રપતિ પુતિનને મળવા જ્યારે રશિયા ગયા હતા, ત્યારે અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે અમેરિકાએ એ પણ કહ્યું હતું કે અમેરિકા PM મોદીનાં નિવેદનો પર નજર રાખશે, પરંતુ હવે અમેરિકા ભારતની શક્તિ ઓળખી ચૂક્યું છે. અમેરિકાએ કબૂલ્યું છે કે યુક્રેન અને રશિયાના યુદ્ધને માત્ર ભારત જ અટકાવી શકે છે. ભારત યુક્રેન યુદ્ધને ખતમ કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

અમેરિકાએ ગઈ કાલે નિવેદન જારી કરીને કહ્યું છે કે રશિયાની સાથે ભારતની પાસે એ ક્ષમતા છે, જેને પગલે એ વ્લાદિમિર પુતિનને યુદ્ધ પૂરું કરવા માટે મનાવી શકે છે. અમેરિકાનું આ નિવેદન મોદીની બે દિવસીય રશિયા યાત્રા બાદ આવ્યું છે.

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરીન જીન પિયરેએ કહ્યું હતું કે અમારું માનવું છે કે રશિયાની સાથે ભારતના સંબંધ રાષ્ટ્રપતિ પુતિનથી યુક્રેનમાં યુદ્ધ ખતમ કરવાના આગ્રહ કરવાની ક્ષમતા આપે છે, પણ એને પૂરું કરવાનું કામ રાષ્ટ્રપતિ પુતિનનું કામ છે. પુતિને જ યુદ્ધ શરૂ કર્યું હતું અને એ જ પૂરું કરી શકે છે.

PM મોદીએ પુતિનને ગળે લગાવ્યા, ત્યારે ઝેલેન્સ્કીએ આકરી ટીકા કરી હતી. તેમણે એને શાંતિના પ્રયાસોને મોટો ઝટકો ગણાવ્યો હતો. તેમણે પુતિનને હત્યારા ગણાવ્યા હતા. જ્યારે PM મોદી પુતિન સાથે મુલાકાત કરી રહ્યા હતા, ત્યારે રશિયાની મિસાઇલો યુક્રેન પર હુમલા કરી રહી હતી. રશિયા કિવમાં બાળકોની હોસ્પિટલમાં નિશાન બનાવી રહી હતી. મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી., ત્યારે સોમવારે સવારે રશિયાની મિસાઇલો યુક્રેનનાં શહેરો પર હુમલો કર્યો હતો.PM મોદીએ પુતિન સાથે મુલાકાત દરમ્યાન યુક્રેનમાં 29 મહિનાથી ચાલી રહેલા યુદ્ધ અને એમાં માર્યા ગયેલા લોકોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બાળકોના મોતનો પણ ઉલ્લેખ કર્યો હતો.