‘ભારતમાં જુલાઈ સુધી રસીની અછત ચાલુ રહેશે’

લંડનઃ ભારતમાં એક બાજુ કોરોનાવાઈરસ મહાબીમારીના કેસ વધી રહ્યાની ચિંતા છે તો બીજી બાજુ આ રોગપ્રતિરોધક રસીની અછતની સમસ્યા પણ સતાવી રહી છે. આ કટોકટી વચ્ચે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર અદર પૂનાવાલાએ કહ્યું છે કે ભારતમાં રસીની અછત જુલાઈ સુધી ચાલુ રહેશે. આ અછતને કારણે મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 18-44 વર્ષની ઉપરના લોકોને રસી આપવાની કામગીરી વિલંબમાં પડી છે, જેનો આરંભ કેન્દ્ર સરકારે નિશ્ચિત કરેલી તારીખ મુજબ, 1 મેથી શરૂ થવી જોઈતી હતી.

ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, સીરમ ઈન્સ્ટિટ્યૂટ નિર્મિત કોવિશીલ્ડ રસીના ડોઝનું ઉત્પાદન જુલાઈમાં વધારવામાં આવશે. હાલ દર મહિને 6-7 કરોડ ડોઝ બનાવવામાં આવે છે, તે વધારીને આશરે 10 લાખ ડોઝ કરાશે. પૂનાવાલાએ એવો આક્ષેપ કર્યો છે કે દેશમાં રસીની અછતના મુદ્દે નેતાઓ અમને ખોટી રીતે બદનામ કરે છે. આ કટોકટી માટે અમારી કંપની નહીં, પણ સરકારની નીતિ જવાબદાર છે.