વિધવાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોની પેન્શનમાં વધારો

પટના: બિહારમાં નીતીશકુમારના નેતૃત્વ હેઠળની NDA સરકારએ મોટો નિર્ણય લીધો છે. હવે સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ વિધવાઓ, સિનિયર સિટિઝનો અને દિવ્યાંગજનોને દર મહિને  રૂ. 1100 મળશે, જ્યારે અગાઉ તેમને માત્ર રૂ. 400 મળતા હતા. CM નીતીશકુમારે આ નિર્ણયની જાહેરાત કરી છે.

જુલાઈથી તમામ લાભાર્થીઓને વધારેલી રકમ મુજબ પેન્શન મળશે. CMએ પણ જણાવ્યું છે કે દરેક લાભાર્થીના ખાતામાં આ રકમ દર મહિનાની 10મી તારીખ સુધી જમા થઈ જશે. બિહાર સરકારના આ નિર્ણયોનો લાભ 1,09,69,255 લાભાર્થીઓને મળશે.

બિહારમાં થોડા મહિના બાદ ચૂંટણી યોજાવાની છે, તેથી નીતિશ સરકારનો આ નિર્ણય રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ પહેલાં પણ બિહાર સરકારે રોજગારી સર્જન અને વિકાસ માટે અનેક નિર્ણયો લીધા છે. બિહાર સરકારના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પર એક નજર:-

શિક્ષણ ક્ષેત્રે:

સરકારી શાળાઓ માટે 2,857 હેડમાસ્ટર અને પ્રિન્સિપાલ સહિત કુલ 3,921 નવી જગ્યાઓનું સર્જન કરાયું છે.

આરોગ્ય ક્ષેત્રે:
આરોગ્ય સેવાઓને વધુ સક્ષમ બનાવવા માટે 20,000થી વધુ નવી જગ્યાઓને મંજૂરી આપવામાં આવી છે.

વહીવટી ક્ષેત્રે:
કૃષિ વિભાગમાં ક્લાર્ક ગ્રેડના લગભગ 2590 પદો અને બિહાર કર્મચારી પસંદગી આયોગમાં 35 ડેટા એન્ટ્રી ઓપરેટરના પદોને મંજૂરી આપવામાં આવી છે. કુલ મળીને 27,000થી વધુ પદો પર ભરતીનો રસ્તો સાફ થયો છે.

ઉદ્યોગ ક્ષેત્રે:

  1. બિહાર લઘુ ઉદ્યોગ યોજના હેઠળ ગરીબ પરિવારોને પોતાનો નાનો ઉદ્યોગ શરૂ કરવા માટે રૂ. 2 લાખ સુધીની સહાય (અનુદાન) આપવામાં આવશે. આનો ઉદ્દેશ બેરોજગારી ઘટાડવાનો છે.
  2. ઔદ્યોગિક વિકાસ અંતર્ગત, ગયામાં એક ઇન્ડસ્ટ્રીયલ હબ વિકસાવવાની અને ભાગલપુરના પીર્પૈંઠી ખાતે 2400 મેગાવોટના પાવર પ્લાન્ટની સ્થાપનાની યોજના છે.