કોલકાતાઃ પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ I-PAC અને તેના કો-ફાઉન્ડર પ્રતીક જૈનનાં ઘરો પર થયેલી દરોડાની કાર્યવાહી મામલે EDએ કલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી મોકૂફ રાખવાની માગ કરી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વકીલે તેનો વિરોધ કર્યો છે. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે તીવ્ર દલીલો થઈ હતી.
ED તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એસ.વી. રાજુએ જણાવ્યું હતું કે આવી જ એક અરજી સુપ્રીમ કોર્ટમાં પણ લંબિત છે અને ત્યાં જલદી સુનાવણી થવાની શક્યતા છે, તેથી હાઈકોર્ટમાં આ મામલે હાલની સુનાવણી ટાળી દેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે હાઈકોર્ટમાં દાખલ થયેલી અરજી જેવી જ માગ સાથે સુપ્રીમ કોર્ટમાં પણ કેસ પેન્ડિંગ છે.
TMC તરફથી વકીલ મેનકા ગુરુસ્વામીએ કહ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટમાં પક્ષકાર નથી. દરોડાની કાર્યવાહી થઈ હતી, પરંતુ અમારી ગોપનીયતા જળવાઈ રહેવી જોઈએ. અમે એક બંધારણીય લોકશાહીમાં જીવીએ છીએ. અમારો રાજકીય ડેટા સુરક્ષિત રહેવો જોઈએ. ગોપનીયતાનો અધિકાર અમારો હક છે.
TMCએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેમની મુખ્ય માગ એ છે કે તેમનો રાજકીય ડેટા સુરક્ષિત રાખવામાં આવે, તેને મિડિયા સાથે જાહેર ન કરવામાં આવે અને રાજકીય હેતુઓ માટે તેનો ઉપયોગ ન થાય. TMCએ એ પણ કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટમાં પક્ષકાર નથી.
8 જાન્યુઆરીએ I-PAC અને પ્રતીક જૈનના નિવાસસ્થાને EDની દરોડાની કાર્યવાહી દરમિયાન પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી વરિષ્ઠ અધિકારીઓ સાથે ત્યાં પહોંચી ગયાં હતાં. આ ઘટનાને લઈને EDએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ 17 ગુનાઓની CBI તપાસની માંગ કરી છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે મમતા બેનર્જી, બંગાળના ડીજીપી અને કોલકાતાના પોલીસ કમિશનરે દરોડા દરમિયાન માત્ર અવરોધ જ ઊભો કર્યો નહોતો, પરંતુ અધિકારીઓને ડરાવી-ધમકાવીને પુરાવાઓ સાથે પણ ચેડાં કર્યાં હતાં.


