કેવી રીતે U-ટર્ન લઈને ભારત સામે મેચ રમવા સંમતિ આપી પાકિસ્તાને

નવી દિલ્હીઃ પાકિસ્તાને 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત સામે થનારી T20 વર્લ્ડ કપ 2026ની મેચનો બહિષ્કાર કરવાનો પોતાનો નિર્ણય સંપૂર્ણપણે પાછો ખેંચી લીધો છે. પાકિસ્તાન સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેઓ પોતાનો નિર્ણય બદલી રહ્યા છે અને બંને કટ્ટર પ્રતિસ્પર્ધી રવિવારે ક્રિકેટના મેદાનમાં આમનેસામને આવશે. આ ગ્રુપ સ્ટેજની સૌથી મોટી મેચ ગણાઈ રહી છે. આ નિર્ણય ICC, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) વચ્ચે લાહોરમાં થયેલી ચર્ચા પછી લેવામાં આવ્યો છે.

પાકિસ્તાને કેવી રીતે લીધો U-ટર્ન

પાકિસ્તાન સરકારે અંતે મોડી રાત્રે U-ટર્ન લઈને પોતાની ટીમને 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામે મેચ રમવા માટે સૂચના આપી. પાકિસ્તાન સરકારે પ્રેસ રિલીઝ જાહેર કરીને પોતાના નિર્ણય બદલવાનાં કારણો પણ જણાવ્યાં. સરકારે કહ્યું છે કે વૈશ્વિક ક્રિકેટના હિતમાં તેમ જ શ્રીલંકા અને બાંગ્લાદેશનાં હિતોને ધ્યાનમાં રાખીને ભારત સામે મેચ રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ PCB, ICCના પ્રતિનિધિઓ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વચ્ચે થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકનાં પરિણામોની સત્તાવાર માહિતી આપી હતી.

એ જ સાંજે વડા પ્રધાને શ્રીલંકાના રાષ્ટ્રપતિ એચ.ઈ. અનુર કુમાર દિસાનાયકે સાથે ટેલિફોન પર વાતચીત કરી. બંને વચ્ચે ઉષ્માભરી અને મિત્રતાપૂર્વક ચર્ચા થઈ, જેમાં તેમણે યાદ કર્યું કે પાકિસ્તાન અને શ્રીલંકા મુશ્કેલ સમયમાં હંમેશાં સાથે ઊભા રહ્યા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિએ વર્તમાન અટકેલી સ્થિતિને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા માટે ગંભીરતાથી વિચારવા વિનંતી કરી.

બહુપક્ષીય ચર્ચામાં પ્રાપ્ત થયેલાં પરિણામો અને મિત્ર દેશોની વિનતિને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકારે પોતાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને 15 ફેબ્રુઆરી 2026S ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં નિર્ધારિત મેચ માટે મેદાનમાં ઊતરવા સૂચના આપી છે.