મનસુખ સુવાગીયાના ‘જળક્રાંતિ ગ્રંથ’નું વિમોચન

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં પ્રવર્તતી વિવિધ સમસ્યાઓ પૈકી જળસંકટ મુખ્ય સમસ્યા છે. ગુજરાતમાં જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયા લિખિત જળક્રાંતિ ગ્રંથનું વિમોચન થવાનું છે. 31 ઓગષ્ટ, 2025ના રોજ રવજીભાઈ વસાણી અને વલ્લભભાઈ કાકડિયાની હાજરીમાં આ કાર્યક્રમ યોજાવાનો છે. લેઉવા પટેલની 19 સંસ્થાઓના ઉપક્રમે લેઉવા પટેલ સમાજની સંસ્થા, કેળવણી ધામ નિકોલ ખાતે કાર્યક્રમ થશે. પુસ્તકનું વિમોચન મુખયમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પી.કે. લહેરી, વસંતભાઈ ગજેરા, આર.પી.પટેલ, જેરામભાઈ વાંસજાળિયા, કાનજીભાઈ ભાલાળા સહિતના લોકો ઉપસ્થિત રહેશે.

મનસુખભાઈ સુવાગીયાએ ‘જળક્રાંતિ ગ્રંથ’ અંગે જણાવ્યું, “મારા 30 વર્ષના જળરક્ષા તપ પછી મને પ્રાપ્ત થયેલા જળસંકટના જ્ઞાન અને અનુભવોની જાણકારી ભાવિ પેઢીને મળી રહે તે, માટે ‘જળક્રાંતિ ગ્રંથ’ લખવાની મને પ્રેરણા મળી. જે માટે મે સતત 97 દિવસ બરડા ડુંગરમાં આવેલી ઐતિહાસિક નગરી ધુમલીની તપોવન વિદ્યાપીઠમાં રહી ૨૨૫ પાનાનો ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથમાં જળતત્વ, વરસાદના પ્રકાર, નક્ષત્રનાં ગુણધર્મો, વિજળી અને મેઘગર્જનાનો પ્રભાવ, ભૂગર્ભ જળ પરિક્ષણ, જળરક્ષાના મોડેલ ગામોનો ઇતિહાસ, વિશ્વ જળસંકટ નિવારણનો ઉપાય અને માનવ ઘડતર તથા કર્મથી જીવનપ્રાપ્તિ જેવા આધ્યાત્મિક પ્રકરણોનો સમાવેશ કર્યો છે.” ‘જળક્રાંતિ ગ્રંથ’ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પ્રસિધ્ધ કરીને સમગ્ર વિશ્વના 200 દેશોમાં મોકલી આપવામાં આવશે. ગુજરાતમાં 80ના દશકમાં ઉદભવેલા જળસંકટને મૂળમાંથી ઉખેડી નાખવા માત્ર 11 ધોરણ પાસ ખેડૂતપુત્ર મનસુખભાઈ સુવાગીયાએ બીડું ઝડપ્યું હતું. ગામદીઠ 5 થી 51 ચેકડેમ-તળાવની પાંચ સિદ્ધાંતની યોજના બનાવી. જેમાં, ગ્રામ સંગઠન, લોકફંડ, ચેકડેમ-તળાવ માટે યોગ્ય સ્થળની પસંદગી, પોતે જ વિકસાવેલી(શોધેલી) ચેકડેમની 100 વર્ષ ટકી રહે તેવી નવી ખૂબ જ સસ્તી ડિઝાઇન અને શ્રમદાનના સહારે ગામે-ગામ આ યોજનાને સાકાર કરવા સંકલ્પ કર્યો.

ત્યાર બાદ 50 હજાર લોકોને જળરક્ષાનો સંકલ્પ લેવડાવી જળક્રાંતિ ટ્રસ્ટની સ્થાપના કરી. જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ૩૦૦થી વધુમાં ગામોમાં 3,200થી વધુ ચેકડેમ, તળાવ બંધાવ્યા છે. જેનાથી ગામની 3 થી 30 કરોડ રૂપિયાનું કૃષિ ઉત્પાદન વધ્યું છે.