યોગ, નેચરોપથી ડિગ્રીધારકો હવે લોકોની સારવાર કરી શકશેઃ પટેલ

ગાંધીનગરઃ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન  નીતિન પટેલે જણાવ્યું છે કે નાગરિકોને યોગ અને નેચરોપેથી સારવાર મળી રહે એ માટે રાજય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો હવે રજિસ્ટ્રેશન કરાવીને યોગ અને નેચરોપેથી દ્વારા લોકોની સારવાર કરી શકશે. વડોદરામાં આવેલા મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી અને યોગિક સાયન્સ વડોદરા બી.એન.વાય.એસ.ની ડિગ્રી ધરાવનાર વ્યક્તિ રજિસ્ટ્રેશન કરાવી શકશે. 

તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન દ્વારા વેલનેસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ આરોગ્ય સુખાકારી વધે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે ગુજરાત સરકાર દ્વારા હેલ્થ અને વેલનેસ ક્લિનિક શરૂ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વારા ૮ જુલાઈ, 2021ના  ઠરાવમાં જણાવ્યાનુસાર વડોદરામાં આવેલી મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી અને યોગિક સાયન્સ વડોદરામાંથી બેચરલ ઓફ નેચરોપેથી અને યોગિક સાયન્સની ડિગ્રી ધરાવનાર વ્યક્તિ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન, ગુજરાત રાજ્ય બોર્ડમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટમાં તેથી ડિગ્રી મેળવનાર સ્નાતક વ્યક્તિ ગુજરાત બોર્ડ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ્સ મેડિસિન ગુજરાત રાજ્યમાં રૂ. 1500 ફી ભરીને પોતાનું પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન કરાવી શકશે અને રજિસ્ટ્રેશન પાંચ વર્ષના અંતે રિન્યુ કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જેતે સ્નાતક વ્યક્તિ પોતાના અભ્યાસક્રમ મુજબ યોગ અને નેચરોપેથીની પ્રેક્ટિસ કરી શકશે.