શાળાઓ શરૂ, પણ ભૂલકાંને મોકલતા ડરતા વાલીઓ

અમદાવાદઃકોરોના રોગચાળાની ત્રીજી લહેરને કારણે એક મહિના સુધી ધોરણ એકથી નવના વર્ગો ઓનલાઇન કરવામાં આવ્યા હતા, પરંતુ હવે ત્રીજી લહેર શાંત પડતાં જ ફરી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે બાળકોના માતાપિતા શાળાઓ શરૂ થતાં અવઢવમાં આવી ગયા છે, કેમ કે કોરોના હજી સંપૂર્ણપણે ગયો નથી.

શિક્ષણપ્રધાને શનિવારે સ્કૂલો ઓફલાઇન શરૂ થશે તેવી જાહેરાત કરી હતી. જોકે વિદ્યાર્થીઓ સુધી હજુ આ સૂચનાઓ પહોંચી નથી. બીજી તરફ, નાનાં બાળકોની રસી નથી એટલે વાલીઓમાં પણ ચિંતા છે. એ ઉપરાંત હાલમાં લગ્નસરાની સીઝનને કારણે પણ સ્કૂલોમાં બાળકોની સંખ્યા ઓછી છે.

સરકાર દ્વારા શાળાઓ ખોલવાની પરવાનગી આપતાં જ શહેરના પૂર્વ-પશ્ચિમ અમદાવાદના દરેક વિસ્તારોમાં સવાર અને બપોર પાળીમાં વહેંચાયેલી પ્રાથમિક શાળાઓ ખૂલી ગઈ હતી. શાળાઓ ખૂલતાં જ શાળાઓના વર્ગ ખંડ અને પ્રાંગણમાં નાનાં ભૂલકાં જોવા મળ્યાં, પરંતુ રોગચાળાના ડરથી સંખ્યામાં કેટલાક વાલીઓ બાળકોને શાળાએ મોકલતા ડરી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)