મારી ભૂલની સજા PM મોદીને ના આપતાઃ રૂપાલા

રાજકોટઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ગઈ કાલે પૂરું થયું છે. ગુજરાતની રાજકોટની લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા ફરી એક વાર ક્ષત્રિય સમાજની માફી માગી છે. જસદણમાં આયોજિત એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં રૂપાલાએ કહ્યું હતું કે ભૂલ મેં કરી હતી, જાહેરમાં માફી પણ માગી છે. મારે કોઈ ભૂલ કરવાનો ઇરાદો નહોતો. મેં ક્ષત્રિય સમાજની વચ્ચે જઈને ક્ષમાયાચના માગી છે. તેમણે મને પ્રતિસાદ પણ આપ્યો હતો, પરંતુ વડા પ્રધાન મોદીનો વિરોધ કેમ?

તેમણે કહ્યું હતું કે તમે તમારા રાષ્ટ્રના યોગદાનને યાદ કરો. ભાજપના વિકાસમાં તમારું મોટું યોગદાન છે. 18 કલાક કામ કરવાવાળા વડા પ્રધાન મોદી જ્યારે દેશ સિવાય કંઈ ના વિચારતા હોય, ત્યારે 140 કરોડ લોકોને પોતાનો પરિવાર સમજતા હોય, ત્યારે તેમનો વિરોધ મારે કારણે કેમ ? મોદીની વિકાસ યાત્રામાં અનેક ક્ષત્રિય સાથે રહ્યા છે. મારી ભૂલ હું સ્વીકારું છું, પણ વડા પ્રધાન મોદીની વિરુદ્ધ ક્ષત્રિય સમાજને ઊભો કરવો એ મને યોગ્ય નથી લાગતું. તેમની સામે દર્શાવવામાં આવી રહેલા આક્રોશને લઈને પુનર્વિચાર કરો, એમ તેમણે કહ્યું હતું.

ભાજપના ડેમેજ કન્ટ્રોલના તમામ પ્રયાસો છતાં ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવાં રાજ્યોમાં ક્ષત્રિય સમાજનો ગુસ્સો શાંત નથી થઈ રહ્યો. છેલ્લા કેટલાંક સપ્તાહોમાં આ રાજ્યોમાં ભાજપની વિરુદ્ધ સમાજ તરફથી વિરોધ-પ્રદર્શન જોવા મળ્યું હતું. જેથી ભાજપના કોર વોટ બેન્ક રાજપૂત પહેલા બે તબક્કામાં મતદાન કેન્દ્રોથી દૂર રહ્યા છે.