ભોજપુરી એક્ટર પવન સિંહ ભાજપમાં છે અને રહેશેઃ વિનોદ તાવડે

પટનાઃ ભોજપુરી એક્ટર અને ગાયક પવન સિંહ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાનું ભાગ્ય અજમાવી એવી શક્યતા છે. તેમણે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લોક મોર્ચાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા અને ભાજપના નેતા વિનોદ તાવડે સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ મિડિયા સાથે વાતચીતમાં વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે પવન સિંહ ભાજપમાં હતા અને રહેશે. તેમણે ઉપેન્દ્ર કુશવાહાથી આશીર્વાદ લીધા છે. આવનારી ચૂંટણીમાં પવન સિંહ ભાજપ કાર્યકરોના નેતા તરીકે સક્રિય રીતે કામ કરશે.

દિલ્હીમાં ભાજપના સિનિયર નેતા વિનોદ તાવડે, ભોજપુરી સ્ટાર પવન સિંહ સાથે ઉપેન્દ્ર કુશવાહાના ઘરે પહોંચ્યા હતા. ગઈ લોકસભા ચૂંટણીમાં પવન સિંહે કારાકાટથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, જેને કારણે જ ઉપેન્દ્ર કુશવાહાની હાર થઈ હતી.એ દરમિયાન રાજપૂત મત ઉપેન્દ્ર કુશવાહાને મળ્યા નહોતા. તેની અસર આસપાસની ઘણી બેઠકો પર પણ થઈ હતી. કારાકાટમાં રાજપૂતોના સહકાર ન મળવાના પ્રતિસાદરૂપે આસપાસની બેઠકો પર કુશવાહા મતદારો NDAના ઉમેદવારોથી દૂર રહ્યા હતા. આ કારણે ભાજપને શાહબાદ અને આસપાસના વિસ્તારમાં ઘણું નુકસાન થયું હતું.

બિહારમાં રાજકીય હલચલ

આવા સમયમાં ઉપેન્દ્ર કુશવાહા, પવન સિંહ અને વિનોદ તાવડેઈ વચ્ચેની મુલાકાતથી બિહારના રાજકારણમાં હલચલ મચી છે. પવન સિંહ રાજકીય પક્ષો માટે કેમ મહત્વના છે તે વાત કોઈથી છૂપી નથી. તેમની ફેન ફોલોઇંગ ખૂબ જ મજબૂત છે, જેનો લાભ તે પાર્ટીને મળશે, જેના માટે તેઓ પ્રચાર કરશે.

જો ખરેખર વિનોદ તાવડેની વાત સાચી નીકળે અને પવન સિંહ ભાજપના કાર્યકર તરીકે કામ કરે તો બિહારમાં ભાજપને ઘણો લાભ થશે, કારણ કે બિહારમાં પવન સિંહ મોટા કલાકાર તરીકે જાણીતા છે અને બિહારની જનતા તેમને બહુ પસંદ કરે છે. પવન સિંહ ભોજપુરી સિનેમાના એક લોકપ્રિય અભિનેતા છે અને તેમનું સ્ટાર્ડમ બિહારના લોકોના માથે સવાર છે.