IPL 2025 ફાઇનલ: અમદાવાદમાં દેશભક્તિ અને ક્રિકેટનો સંગમ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની ફાઇનલ મંગળવાર, 3 જૂનના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. અમદાવાદમાં ત્રીજી વખત યોજાનારી આ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) ટાઇટલ માટે ટકરાશે. ઓપરેશન સિંદૂરની થીમ પર આયોજિત સમાપન સમારોહ દેશભક્તિનો સંદેશ આપશે, જેમાં શંકર મહાદેવનનું પર્ફોર્મન્સ ચાહકોને ઉત્સાહિત કરશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 4:30 વાગ્યે પ્રેક્ષકોની એન્ટ્રી શરૂ થશે, અને 6:00 વાગ્યે સમાપન સમારોહ શરૂ થશે. શંકર મહાદેવન ‘મા તુજે સલામ’, ‘લક્ષ્ય’, અને ‘આઇ લવ માય ઇન્ડિયા’ જેવાં ગીતો રજૂ કરી ઓપરેશન સિંદૂરના શહીદો અને પહલગામ હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપશે. ઇનિંગ્સ બ્રેકમાં લેસર શો અને ગુજરાતી ગરબાનું આયોજન થશે. અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડીઝ, અને અભિષેક બચ્ચન જેવા બોલિવૂડ સ્ટાર્સની હાજરીની સંભાવના છે. 85,000થી વધુ ટિકિટ વેચાઈ ચૂકી છે, જ્યારે 25,000 રિઝર્વ રાખવામાં આવી છે. સ્ટેડિયમ તિરંગાના રંગો અને વિશાળ સ્ક્રીન પર સેનાને આભારના સંદેશાઓથી શણગારાશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, અને સાંજે 5 વાગ્યા સુધી હળવા ઝાપટાંની શક્યતા છે, પરંતુ 7 વાગ્યા બાદ વરસાદની સંભાવના નથી. ભેજનું પ્રમાણ વધુ હોવાથી પ્રેક્ષકોને ઉકળાટનો સામનો કરવો પડી શકે. સ્ટેડિયમમાં ખાણી-પીણીની વસ્તુઓના ઊંચા ભાવ (જેમ કે, 20 રૂપિયાની પાણીની બોટલના 100 રૂપિયા, સેન્ડવિચના 200 રૂપિયા) ચાહકો માટે ચિંતાનો વિષય છે. ઓનલાઇન ટિકિટ બુકિંગની અપૂરતી વ્યવસ્થાએ પણ નારાજગી ફેલાવી છે. અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઇટ્સની અવરજવર બમણી થશે, અને બેંગલુરુ-અમદાવાદનું એરફેર 26,000 રૂપિયાને પાર થયું છે.