રાજ્યમાં માસ્ક ના પહેરવા બદલ 52 કરોડ રૂપિયાથી વધુનો દંડ વસૂલાયો

અમદાવાદઃ કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું અનિવાર્ય છે, કેમ કે જ્યાં સુધી કોરોના રોગચાળા સામે વેક્સિન તૈયાર ના થાય ત્યાં સુધી માસ્ક જ લોકોને કોરોનાથી બચવાનો ઉપાય છે. દેશ-દુનિયામાં કોરોનાનુ સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, તેમ છતાં રાજ્યમાં લોકો માસ્ક પહેરવામાં પણ બેદરકારી રાખી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આવામાં માસ્ક ન પહેરનારાને દંડવામાં આવી રહ્યા છે. રાજ્યભરમાં છેલ્લા ત્રણ મહિનામાં એટલે કે 103 દિવસમાં માસ્ક ન પહેરવા બદલ 52,35,61,800 રૂપિયાનો દંડ નાગરિકો પાસેથી વસૂલાયો છે, એટલે કે રોજના સરેરાશ પાંચ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

નાગરિકોને માસ્ક નહીં પહેરવા બદલ 52 કરોડ રૂપિયાનો દંડ થયો

રાજ્યના નાગરિકો પાસેથી પોલીસે માસ્ક નહીં પહેરવા બદલ છેલ્લા ત્રણ મહિનામાં જ એટલે કે 103 દિવસમાં 52 કરોડ રૂપિયાથી વધુનો દંડ વસૂલ્યો છે. જ્યારે શહેરના નાગરિકો પાસેથી પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને મળીને દંડ પેટે 11 કરોડ રૂપિયા પડાવી લીધા છે. સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ શહેરની સંખ્યાબંધ હોટેલો, મોલ સહિતના એકમો સીલ કરવામાં આવ્યા છે.

કોરોના કેસમાં ચિંતાજનક વધારો  

રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં શુક્રવારે કોરોનાના અત્યાર સુધીમાં સૌથી વધુ 1,442 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 12 દર્દીઓનાં મોત થયાં હતાં. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક 1,30, 391 પર પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 3396 થયો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 16,505 છે. જ્યારે 92 દર્દીઓ વેન્ટિલેટર પર છે. શુક્રવારે 1279 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 84.74 ટકા છે.