ગાંધીનગર: રાજ્યમાં ગુટકા, તમાકુ કે નિકોટીનયુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર વધુ એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટિ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ના નિયમો તથા તેના રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ના જાહેરનામાંથી ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૫થી વધુ એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વિશે કમિશનર ઓફ ફૂડ સેફ્ટિ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગર ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યું.
કોઈ પણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધિત છે. આમ ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ હાનિ પહોંચે છે. જેથી વર્તમાન તેમજ ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્યને નુકસાનકારક ગુટકા પર કાયદા અન્વયે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં કોઈ પણ વેપારી ગુટકા કે પાન મસાલા અથવા જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેનાં વેચાણ, સંગ્રહ અને વિતરણ કરશે તો તેમના પર કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


