અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય છે, જેથી આગામી 24 કલાક ખૂબ જ નિર્ણાયક છે કારણ કે આ સમયગાળામાં લો-પ્રેશર સંપૂર્ણ વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. બીજી તરફ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ડબલ સિસ્ટમને કારણે ઉત્તર-પૂર્વ ચોમાસું વધુ સક્રિય બનશે અને દક્ષિણનાં રાજ્યોમાં મુશળધાર વરસાદ વરસાવશે.
હવામાન વિભાગના રિપોર્ટ મુજબ હાલમાં આ સિસ્ટમ જમીની સીમાથી લગભગ 1000 કિમી દૂર છે અને ધીમે-ધીમે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી તરફ આગળ વધી રહી છે. 26 નવેમ્બર બાદ તે સ્પષ્ટ થશે કે વાવાઝોડું તામિલનાડુ-આંધ્રના તટ તરફ જશે કે પછી ઉત્તર તરફ વળીને ઓડિશા અને બાંગ્લાદેશ તરફ ફંટાશે. સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ના ખેડવાની ચેતવણી આપી છે.
નવેમ્બરના અંતિમ સપ્તાહથી લઈને ડિસેમ્બરના અંત સુધી ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા અને પશ્ચિમી વિક્ષેપોની અસરને કારણે રાજ્યમાં ઠંડીની વધઘટ સાથે માવઠાના યોગ સર્જાઈ રહ્યા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવેમ્બરના અંતિમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત સર્જાવાની શક્યતા છે. જોકે, રાહતની વાત એ છે કે આ ચક્રવાતની ગુજરાત પર ઓછી અસર થવાની શક્યતા છે. 
આ ચક્રવાતની મુખ્ય અસર દક્ષિણ-પૂર્વ ભારતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. જો દક્ષિણ-પૂર્વ ભારતમાં તેની અસર થાય, તો તેની આડઅસરરૂપે ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર આવી શકે છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં હવામાન પલટો આવી શકે છે.
હાલમાં રાજ્યમાં ઠંડીમાં વધઘટ જોવા મળી રહી છે. પરંતુ જેમ-જેમ સૂર્ય દક્ષિણાવર્તી જશે તેમ-તેમ ઠંડી વધશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હળવા પશ્ચિમી વિક્ષેપો આવવાનું શરૂ થશે, જેને કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. ડિસેમ્બરના મધ્ય સુધીમાં પશ્ચિમી વિક્ષેપની અસર હેઠળ રાજ્યમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે.




