બોલીવૂડ ચરિત્ર અભિનેતા કિરણ કુમારને કોરોના થયો

મુંબઈઃ હિન્દી ફિલ્મો તેમજ અનેક હિન્દી ટીવી સિરિયલોના જાણીતા પીઢ ચરિત્ર અભિનેતા કિરણ કુમાર કોરોના પોઝિટીવ જાહેર થયા છે. એ 10 દિવસથી હોમ ક્વોરન્ટાઈન છે.

પોતાને કોરોના થયાની જાણકારી ખુદ કિરણ કુમારે જ એક ટીવી ચેનલને આપી છે.

એમણે કહ્યું કે, એમને ગઈ 14 મેએ જણાવવામાં આવ્યું હતું કે એમને કોરોનાનો ચેપ લાગ્યો છે.

74 વર્ષીય કુમારનું કહેવું છે કે, મુંબઈની એક હોસ્પિટલમાં એમનો એક નાનો મેડિકલ ઉપચાર કરાનાર હતો. એ માટે એમના ઘણા મેડિકલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. એક ટેસ્ટ કોવિડ-19નો પણ હતો, જે કરાવવો ફરજિયાત હોય છે. 14 મેએ એમને જણાવવામાં આવ્યું હતું કે એમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

કુમારે કહ્યું કે પોતાને કોરોના વાઈરસનું કોઈ લક્ષણ નહોતું. ન તો એમને ઉધરસ હી કે ન શરદી હતી કે તાવ હતો. એમને શરીરમાં કોઈ પ્રકારનો દુખાવો પણ થતો નહોતો. આમ, કોરોનાના કોઈ લક્ષણ ન હોવાથી એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નહોતા.

કિરણ કુમાર હાલ સેલ્ફ-આઈસોલેશન અંતર્ગત એમના ઘરમાં જ છે. પોતે એકદમ સ્વસ્થ છે અને જે મકાનમાં રહે છે એના ત્રીજા માળ પર પોતે ક્વોરન્ટાઈન થયા છે. એમનો પરિવાર બીજા માળ પર રહે છે. હવે સોમવાર કે મંગળવારે એમનો બીજી વાર કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

ભારતમાં કોરોના વાઈરસના ચેપગ્રસ્તોની સંખ્યા 1.31 લાખને પાર ગઈ છે અને આ બીમારીથી 3,867 જણના મરણ થઈ ચૂક્યા છે.

કિરણ કુમાર જાણીતા ચરિત્ર અભિનેતા સ્વ. જીવનના પુત્ર છે અને ભૂતપૂર્વ અભિનેત્રી સુષ્મા વર્માને પરણ્યા છે. એમને બે સંતાન છે.

ઉલ્લેખનીય છે કે, બોલીવૂડમાંથી કોરોના પોઝિટીવ જાહેર થયેલા કિરણ કુમાર ત્રીજા વ્યક્તિ છે. આ પહેલાં ગાયિકા કનિકા કપૂર અને નિર્માતા કરીમ મોરાનીના પરિવારજનોને કોરોના થયો હતો.