ઝારખંડમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને વહીવટી તંત્ર વચ્ચે ઘર્ષણ

રાંચીઃ દેશ આજે પોતાની આઝાદીની 80મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે દિલ્હીથી લઈને રાજ્યોની રાજધાનીઓ અને દેશના  વિવિધ વિસ્તારોમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. આજે જ કોકરોચ જનતા પાર્ટી સ્વતંત્રતા દિવસના અવસરે મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં પોતાના સ્થાપક અભિજિત દીપકેના ગામથી ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન શરૂ કરશે.

ઝારખંડમાં JPSC અને JSSC પરીક્ષાઓમાં અનિયમિતતાઓના વિરોધમાં છેલ્લા 14 દિવસથી ઉપવાસ પર બેઠેલા વિદ્યાર્થી આંદોલનના મુખ્ય નેતા દેવેન્દ્ર નાથ મહતો અને વહીવટી તંત્ર વચ્ચે સ્વતંત્રતા દિવસના અવસરે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું. જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં તિરંગો ફરકાવવા અને વિદ્યાર્થીઓ દ્વારા કાઢવામાં આવી રહેલી ‘તિરંગા યાત્રા’માં સામેલ થવા પર અડગ રહેલા દેવેન્દ્ર નાથ મહતોને પોલીસે રાંચીની સદર હોસ્પિટલમાં જ રોકી દીધા હતા. આ દરમિયાન હોસ્પિટલ પરિસરમાં પોલીસ અને દેવેન્દ્ર મહતોના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કી થઈ હતી. ત્યાર બાદ હોસ્પિટલ પરિસરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું.

હોસ્પિટલમાંથી બહાર નીકળવા બાબતે ધક્કામુક્કી

દેવેન્દ્ર નાથ મહતોની ટીમ અને સમર્થકોનો આરોપ છે કે તેમને તિરંગો ફરકાવવા અને યાત્રામાં સામેલ થતા રોકવા માટે પોલીસે લગભગ એક કલાક સુધી સદર હોસ્પિટલના રૂમની બહાર બળજબરીથી રોકી રાખ્યા હતા. ઘટના બાદ દેવેન્દ્ર નાથ મહતોએ સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા વ્યક્ત કરતાં લખ્યું કે ઘણા દિવસોથી ભૂખ હડતાળ પર બેઠેલા તેમની સાથે આજે પોલીસે ધક્કામુક્કી કરી અને બળજબરીથી રોકવાનો પ્રયાસ કર્યો. તેમની સાથે રહેલા સાથીઓ સાથે પણ મારપીટ કરવામાં આવી. ઘણા દિવસોથી ભૂખ્યા હોવા છતાં તેઓ પોતાના અધિકાર અને જનતાના અવાજ માટે ઊભા છે. તેમને આ રીતે રોકીને તેમનો અવાજ દબાવી શકાય નહીં.

શું છે સમગ્ર મામલો?

દેવેન્દ્ર નાથ મહતોએ હોસ્પિટલ પ્રશાસન અને પોલીસ સામે સવાલ ઉઠાવતા પૂછ્યું કે જ્યારે તેમણે લેખિતમાં આપી દીધું છે કે જો તેમના જીવને કંઈ થાય તો તેની જવાબદારી હોસ્પિટલની રહેશે નહીં, તો પણ તેમને સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાથી કેમ રોકવામાં આવી રહ્યા છે?