‘રામાયણ’માં કયો સીન કરવો અરૂણ ગોવિલને સૌથી મુશ્કેલ જણાયો હતો?

મુંબઈઃ રામાનંદ સાગરની રામાયણનો છેલ્લો એપિસોડ દૂરદર્શન પર પ્રસારિત કરી દેવામાં આવ્યો છે. આ દરમિયાન રામાયણના દર્શકો પણ ખૂબ ભાવુક થઈ ગયા હતા. રામાયણને લઈને ગઈકાલે રાત્રે ટ્વીટર પર #Ramayana, #UttarRamayanfinale જેવા કેટલાય હેશટેગ ટ્ર્રે્ન્ડ થયા. આના પર લોકો કેટલાય પ્રકારની ચર્ચા કરતા પણ દેખાયા. તો આ વચ્ચે રામાયણમાં ભગવાન રામનું પાત્ર નિભાવનારા અભિનેતા અરુણ ગોવિલે સોશિયલ મીડિયા દ્વારા આ શો સાથે સંબંધિત એક જાણકારી આપી છે. તેમણે રામ તરીકે આ શોમાં પોતાના સૌથી મુશ્કેલ સીન વિશે જાણકારી આપી છે.  હકીકતમાં સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે સીધી વાત કરવા માટે રામાયણના અભિનેતા અરુણ ગોવિલે #AskArun દ્વારા પણ તમામ પ્રશ્નોના જવાબો આપ્યા. આ વચ્ચે એક ફેને તેમને રામાયણના સૌથી મુશ્કેલ સીનને લઈને પ્રશ્ન કર્યો હતો. એનો જવાબ આપતા ગોવિલે કહ્યું કે, રાજા દશરથના મૃત્યુના સમાચાર સાંભળવા અને તેના પર પ્રતિક્રિયા આપવી – એ સીન મારે માટે સૌથી મુશ્કેલ હતો.

સાથે જ તેમણે ફેન્સના અન્ય કેટલાય પ્રશ્નોના જવાબ ખૂબ સહજતાથી આપ્યા. એક ચાહકે પૂછ્યું કે, કોરોના વાયરસથી ક્યારે મુક્તિ મળશે પ્રભુ? આ મામલે ગોવિલે જણાવ્યું કે, બધા લોકોના પ્રયાસોથી જલ્દી જ કોરોનાને હરાવી શકીશું.

તેમણે આ જવાબ દ્વારા ફેન્સને કોરોના વાયરસથી લડવા અને સુરક્ષા માટે પ્રયત્નો તેજ કરવા પણ કહ્યું.