અભિનેતા રીતેષ દેશમુખે માંસાહારનો ત્યાગ કર્યો

મુંબઈઃ બોલીવૂડ અને મરાઠી અભિનેતા રીતેષ દેશમુખે માંસાહાર, બ્લેક કોફી અને એરેટેડ પીણાંનો એક ખાસ કારણસર ત્યાગ કરી દીધો છે.

આ વર્ષે આ પહેલાં, રીતેષ અને એની અભિનેત્રી પત્ની જેનેલિયા ડિસોઝાએ અંગદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.

રીતેષે જણાવ્યું છે કે, મેં માંસાહાર, બ્લેક કોફી અને એરેટેડ ડ્રિન્ક્સનો ત્યાગ કરી દીધો છે. મારે મારું શરીર સ્વસ્થ રાખવું છે. આખરે, જ્યારે મારા મૃત્યુ પછી મારા અંગોનું દાન કરવાનો સમય આવે ત્યારે લોકો કહે, ‘જતા જતા સ્વસ્થ અવયવો છોડીને ગયો.’

પોતે અને પત્નીએ અંગદાન કરવાનું કેવી રીતે નક્કી કર્યું એ પણ રીતેષે જણાવ્યું છે.

‘અમે (રીતેષ અને જેનેલિયા) છેલ્લા અમુક વર્ષોથી અંગદાન કરવાનું વિચારતાં જ હતાં. આ લોકડાઉન વખતે અમને એ વિશે વિચારવાનો સમય મળી ગયો. કમનસીબે, અમારી પાસે અંગદાન વિશે પૂરતી માહિતી નહોતી કે આ માટે કોનો સંપર્ક કરવો કે આ માટેની પ્રક્રિયા શું છે,’ આમ કહીને રીતેષે ‘કૌન બનેગા કરોડપતિ’ શોના ‘કર્મવીર સ્પેશિયલ’ એપિસોડ પરના ડો. સુનીલ શ્રોફને સમર્થન આપ્યું હતું.

‘એક દિવસ અમે બેઉએ નક્કી કર્યું કે એક વિડિયો બનાવીએ અને કહ્યું કે અમે શું ઈચ્છીએ છીએ અને શક્ય હશે એટલું દાન કરીશું,’ એમ રીતેષે વધુમાં કહ્યું છે.