‘વો કૌન થી’, ‘રાત ઔર દિન’ ફિલ્મોની રીમેકની ભૂમિકાઓ માટે ઐશ્વર્યાને ઓફર

મુંબઈ – પુત્રી આરાધ્યાનાં જન્મ અને એની દેખભાળને કારણે અમુક વર્ષો સુધી રૂપેરી પડદાથી દૂર રહ્યા બાદ ઐશ્વર્યા રાય-બચ્ચન મોટા પડદા પર ફરી જામી રહી છે.

2016માં ‘સરબજીત’ ફિલ્મ સાથે કમબેક કરનાર ઐશ્વર્યા છેલ્લે ‘ઐ દિલ હૈ મુશ્કિલ’માં જોવા મળી હતી અને હાલ ‘ફન્ને ખાન’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

44 વર્ષીય ઐશ્વર્યાને વધુ બે જૂની ફિલ્મોની રીમેક માટે ઓફર કરવામાં આવી છે. આ બે ફિલ્મ છે, ‘વો કૌન થી’ અને ‘રાત ઔર દિન’.

આ જાણકારી ખુદ ઐશ્વર્યાએ જ આપી છે.

રહસ્યમય ફિલ્મ ‘વો કૌન થી’માં સાધનાએ કરેલી ભૂમિકા જ્યારે ‘રાત ઔર દિન’માં નરગિસે કરેલી ભૂમિકાની ઓફર ઐશ્વર્યાને કરવામાં આવી છે.

1964માં આવેલી ‘વો કૌન થી’માં મનોજકુમારે ભજવેલી ભૂમિકા માટે શાહિદ કપૂરને પસંદ કરાયો હોવાનો અહેવાલ છે. આ ફિલ્મની રીમેક બનાવવા માટે પ્રોડક્શન હાઉસ ક્રિઆર્જ એન્ટરટેઈનમેન્ટે રાઈટ્સ મેળવી લીધા છે.