નાના પાટેકર, એમના વકીલો મને પોકળ ધમકીઓ આપી રહ્યા છેઃ તનુશ્રી દત્તા

મુંબઈ – પોતાની સાથે જાતીય સતામણી કર્યાંનો પીઢ બોલીવૂડ અભિનેતા નાના પાટેકર વિરુદ્ધ આરોપ મૂકનાર અભિનેત્રી તનુશ્રી દત્તાએ શનિવારે મોડી સાંજે એક નિવેદનમાં કહ્યું હતું કે પાટેકરના વકીલ તરફથી પોતાને હજી સુધી કોઈ કાનૂની નોટિસ મળી નથી.

નિવેદનમાં તનુશ્રીએ એમ પણ જણાવ્યું છે કે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હું પણ મારો બચાવ કરવા માટે મારાં વકીલોની ટીમ તૈયાર કરી રહી છું. નાનાનાં વકીલના દાવાથી વિપરીત, મને હજી સુધી એમની તરફથી કોઈ લીગલ નોટિસ મળી નથી. મને ડરાવીને ચૂપ કરી દેવા માટે પોકળ ધમકીઓ આપવાને બદલે પાટેકરના વકીલે મને લીગલ નોટિસ મોકલવી જોઈએ અને પછી જુઓ હું એનો શું જવાબ આપું છું.

તનુશ્રીને મળ્યો કંગનાનો ટેકો

તનુશ્રીનાં આરોપને પગલે બોલીવૂડમાં ઘણાં કલાકારોએ એને ટેકો જાહેર કર્યો છે. એમાંની એક છે, અભિનેત્રી કંગના રણૌત. કંગનાએ એમ કહ્યું હોવાનું મનાય છે કે, કથિત જાતીય સતામણી વિશે જાહેરમાં બોલવાની તનુશ્રીની હિંમતને પોતે દાદ આપે છે.

‘ક્વીન’ની અભિનેત્રી કંગનાએ કહ્યું કે, બનાવ વખતે પોતાને થયેલા અનુભવ વિશે બોલવાનો ફરિયાદી અને આરોપીનો મૂળભૂત અધિકાર છે. આ પ્રકારનો ઘટસ્ફોટ ઘણો જ તંદુરસ્ત કહેવાય અને એનાથી જાગૃતિ આવે.