અનુપમ ખેરઃ મોદી સરકારના કટ્ટર પ્રશંસકમાંથી ટીકાકાર?

મુંબઈઃ હિન્દી ફિલ્મોના ચરિત્ર અભિનેતા અનુપમ ખેર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના કટ્ટર પ્રશંસક તરીકે જાણીતા છે. તેઓ અનેકવાર મોદી અને એમની સરકારની પ્રશંસા કરતા આવ્યા છે, પરંતુ ગઈ કાલે એમણે કહ્યું કોરોના સંકટમાં સરકાર લપસી પડી હોય એવું પોતાનું માનવું છે અને એને જવાબદાર ગણવામાં આવે એ મહત્ત્વનું છે. એનડીટીવીને આપેલી એક મુલાકાતમાં ખેરે જે કહ્યું એના પરથી એ કેન્દ્ર સરકારના ટીકાકાર બન્યા હોય એવું લાગે છે. એમણે કહ્યું કે, ‘ક્યાંક તો તેઓ લપસી પડ્યા છે… એમણે એ સમજવાનો સમય આવી ગયો છે કે પોતાની ઈમેજ બનાવવાને બદલે લોકોની જિંદગી બચાવવાનું વધારે જરૂરી છે.’

ઈન્ટરવ્યૂમાં જ્યારે ખેરને પૂછવામાં આવ્યું કે, ‘સરકારે પોતાની છાપ સંભાળવાને બદલે લોકોને રાહત પૂરી પાડવાના પ્રયાસો કરવાની વધારે જરૂર છે એવું શું તમને નથી લાગતું? હોસ્પિટલોમાં પથારીઓ મેળવવા માટે આજીજી કરતા કોરોનાગ્રસ્ત પરિવારોનાં લોકો, ગંગા નદીમાં તરતા મૃતદેહો અને ઝઝૂમતાં દર્દીઓની તસવીરો જોઈને તમારું હૃદય દ્રવી નથી ઉઠતું?’ ત્યારે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ખેરે કહ્યું કે, ‘મને લાગે છે કે ઘણાખરા કેસોમાં ટીકા કરવી ઉચિત છે અને મારું માનવું છે કે સરકાર આ સમયે મદદરૂપ થાય એ મહત્ત્વનું છે. તેણે એવું કરી બતાવવું જોઈએ જે માટે આ દેશની જનતાએ એમને પસંદ કર્યા છે. આવી તસવીરો જોઈને કોઈ નિષ્ઠુરનું જ હૃદય ન પીગળે. આપણને જનતાને અધિકાર છે કે આપણે ગુસ્સે થઈએ… જે કંઈ બની રહ્યું છે એ માટે સરકારને જવાબદાર ગણાવાય એ મહત્ત્વનું છે.’