ઇમર્જન્સી એ લોકતંત્રના ઇતિહાસનો કાળો દિવસઃ PM મોદી

નવી દિલ્હીઃ ભાજપ આજે ઇમર્જન્સીની 50મી વર્ષગાંઠને બંધારણ હત્યા દિવસ તરીકે ઊજવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોઈ પણ ભારતીય ઇમર્જન્સીને ક્યારેય નહીં ભૂલશે કે ઇમર્જન્સી દરમિયાન બંધારણની ભાવનાનું કેવી રીતે ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. મોદીએ તેમની સરકારની બંધારણના સિદ્ધાંતોને મજબૂત બનાવવા માટેની પ્રતિબદ્ધતાને ફરી દોહરાવી હતી.

ઇમર્જન્સીનાં 50 વર્ષ પૂર્ણ થવા પર સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ્સ કરીને PM મોદીએ કહ્યું હતું કે ઇમર્જન્સી ભારતીય લોકશાહીના ઈતિહાસના સૌથી કાળા અધ્યાયોમાંનો એક છે. તેમણે જણાવ્યું હતું કે તે સમય દરમિયાન બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોને પાતાળમાં ધકેલી દેવામાં આવ્યા હતા, મૂળભૂત અધિકારોને નિલંબિત કરી દેવામાં આવ્યા હતા, પ્રેસની સ્વતંત્રતાને દબાવી દેવામાં આવી હતી અને મોટી સંખ્યામાં રાજકીય પક્ષોના નેતાઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા.

વડા પ્રધાને કહ્યું હતું કે તે સમયની સત્તામાં રહેલી કોંગ્રેસ સરકારે લોકશાહીને બંધક બનાવી હોય તેમ લાગતું હતું. પાછલા વર્ષથી મોદી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ઇમર્જન્સીની તારીખને “બંધારણ હત્યા દિવસ” તરીકે ઊજવવામાં આવશે. પીએમ મોદીએ જણાવ્યું કે 42મા સંશોધન દ્વારા બંધારણમાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા હતા.

ગૃહમંત્રીએ શાહના કોંગ્રેસ પર આકરા પ્રહારો

આ અગાઉ ગૃહમંત્રી અમિત શાહે પણ મંગળવારે ભારતને લોકશાહીનું ઉગમસ્થાન ગણાવતા 1975માં ઇમર્જન્સી લાદવા માટે કોંગ્રેસની તીવ્ર ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણે ઇમર્જન્સીના એવા કાળા અધ્યાય પર વિજય મેળવ્યો છે, કારણ કે ભારત ક્યારેય તાનાશાહી સામે નમતું નથી.