નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં હવા પ્રદૂષણની સ્થિતિ અત્યંત ભયાનક બની ગઈ છે. દેશમાં દિલ્હી સહિત અનેક રાજ્યોમાં પણ વધતા પ્રદૂષણને કારણે લોકોની હાલત ખરાબ છે. જેથી સંસદનાં બંને ગૃહોમાં હવા પ્રદૂષણ મુદ્દે ચર્ચા-વિચારણા થવાની છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાંજે પાંચ વાગ્યે લોકસભામાં પ્રશ્નો, આપત્તિઓ અને સૂચનો પર જવાબ આપશે.
સંસદના શિયાળુ સત્રની શરૂઆતથી જ વિરોધ પક્ષ પ્રદૂષણ પર ચર્ચાની માગ કરી રહ્યો છે. અનેક સાંસદોએ અત્યાર સુધી પ્રદૂષણ સામે લડવા માટે સરકારની યોજનાઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.
સરકારે ચર્ચા માટે સંમતિ આપી
થોડા દિવસો પહેલાં લોકસભાના નેતા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે હવા પ્રદૂષણને રાષ્ટ્રીય આપત્તિ ગણાવીને આ વિષય પર વિસ્તૃત ચર્ચાની માગ કરી હતી. સત્તા પક્ષે પણ કોઈ ટકરાવ વિના આ મુદ્દાને ગંભીરતાથી લઈને ચર્ચા માટે સંમતિ વ્યક્ત કરી હતી. આના જવાબમાં સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું હતું કે સરકાર શરૂઆતથી જ સ્પષ્ટ હતી કે તે આ મુદ્દે ચર્ચા કરવા અને ઉકેલ શોધવા માટે તૈયાર છે.
હવા પ્રદૂષણ એક મોટી સમસ્યા છે: પર્યાવરણ મંત્રી
સંસદમાં ચર્ચા દરમિયાન ડીએમકે સભ્ય ડો. કનિમોઝી એનવીએમ સોમુએ પૂછ્યું કે શું સરકાર ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તારોમાં મોટા પાયે એર પ્યુરિફાયર માટે ફંડ ફાળવી રહી છે કે નહીં. તેના જવાબમાં પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સ્થિતિની ગંભીરતા સ્વીકારી અને કહ્યું હતું કે હવા પ્રદૂષણ એક મોટી સમસ્યા છે અને તેઓ આ વાત સાથે સંમત છે.
ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ ફરજિયાત
દિલ્હીના શ્રમ મંત્રી કપિલ મિશ્રાએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી અને ખાનગી, બંને પ્રકારની સંસ્થાઓએ વર્ક ફ્રોમ હોમ અપનાવવું પડશે. આદેશ મુજબ કોઈ પણ ખાનગી ઓફિસોમાં 50 ટકા કરતાં વધુ કર્મચારીઓ ફિઝિકલ મોડમાં કામ નહીં કરે. બાકીના કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવું ફરજિયાત રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.


