ટોરેન્ટોઃ કેનેડામાં રાજકીય નેતૃત્વમાં ફેરફાર બાદ હવે વિદેશ અને સુરક્ષા નીતિમાં પણ મહત્વના ફેરફાર જોવા મળ્યા છે. હવે કેનેડાના નવા વડા પ્રધાન માર્ક કાર્નીએ આતંકવાદ સામે મોટું નિવેદન આપતાં કડક વલણ અપનાવવાની વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે કેનેડાની નવી સરકાર આતંક સામેની વૈશ્વિક લડતમાં ભારત જેવા સાથીદારો સાથે ઊભી રહેશે.
PM માર્ક કાર્ની શું બોલ્યા?
માર્ક કાર્નીએ 1985માં થયેલા એર ઈન્ડિયા ‘કનિષ્ક’ વિમાન બોમ્બ વિસ્ફોટને દેશના ઇતિહાસનો સૌથી ભયાનક આતંકી હુમલો ગણાવ્યો અને આ દુઃખદ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 40 વર્ષ પહેલાં થયેલા આ હુમલામાં 268 કેનેડિયન નાગરિકો સહિત 329 નિર્દોષ લોકોના જીવ ગયા હતા, જેને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. PM કાર્નીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેનેડામાં ‘કનિષ્ક’ વિમાન બોમ્બ વિસ્ફોટની 40મી વરસી પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
મોન્ટ્રિયલથી લંડન મારફતે 23 જૂન 1985એ દિલ્હી જતી એર ઈન્ડિયા ફ્લાઇટ 182 ‘કનિષ્ક’માં આયર્લેન્ડના તટ પાસે ભયાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ લંડનના હિથ્રો એરપોર્ટ પર પહોંચતાં 45 મિનિટ પહેલાં થયો હતો. વિસ્ફોટને કારણે વિમાનમાં સવાર તમામ 329 લોકોનાં મોત થયા હતા, જેમાંથી મોટા ભાગના ભારતીય મૂળના કેનેડિયન નાગરિકો હતા.
On the 40th anniversary of Air India 182 ‘Kanishka’ bombing, we honour the memory of the 329 lives lost in one of the worst acts of terrorism.
A stark reminder of why the world must show zero tolerance towards terrorism and violent extremism.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 23, 2025
વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ ભયાનક હુમલાની યાદ તાજી કરી હતી. તેમણે લખ્યું હતું કે એર ઈન્ડિયા 182 બોમ્બ વિસ્ફોટ આતંકવાદની સૌથી વિકૃત ઘટનાઓમાંની એક છે અને જેથી આતંકવાદ સામે કોઈ પણ રીતે નરમાઈ રાખવી નહીં જોઈએ.
હાલમાં કેનેડાના નવા PM માર્ક કાર્નીએ આતંકવાદ સામે જે રીતે નિવેદન આપ્યું છે તેને હકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે શું કેનેડા હવે ખાલિસ્તાની પ્રવૃત્તિઓ સામે પગલાં લેવાનું આરંભ કરશે?
