બાળકોને સમય અને મૂલ્ય આધારિત શિક્ષણ આપો: દીદી કૃષ્ણા કુમારી

અમદાવાદ: સાધુ વાસવાણી મિશનના ગ્લોબલ હેડ, દીદી કૃષ્ણા કુમારી, હાલમાં ગુજરાતના અનેક શહેરોનો આધ્યાત્મિક પ્રવાસ પર છે. આ યાત્રા દરમિયાન તેઓ લોકોને કરુણા, એકતા અને સેવાના શાશ્વત સંદેશથી પ્રેરણા આપી રહ્યા છે.સુરત, વડોદરા, રાજકોટ અને જૂનાગઢની મુલાકાત પછી દીદી કૃષ્ણા કુમારી હવે અમદાવાદ આવ્યા છે. જ્યાં તેઓ શ્રેણીબદ્ધ અનેક કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. ગુરુવારે એક કાર્યક્રમમાં, તેમણે માતા-પિતાઓ માટે તેમના બાળકો માટે સમય આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

દીદીએ કહ્યું હતું કે, “આજે, આપણે તમામ ભૌતિક સુખ-સુવિધાઓ સાથે બાળકોનો ઉછેર કરી રહ્યા છીએ. જો કે, આપણે તેમને સમય નથી આપી રહ્યા. આપણે તેમને ગેજેટ્સ તો આપી રહ્યા છીએ, પરંતુ યોગ્ય માર્ગદર્શન નથી આપતા. બાળકો સ્પોન્જ જેવા છે અને માતા-પિતાનું અવલોકન અને અનુકરણ કરે છે.”

તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ ઉપકરણોનો ઉદ્દેશ જીવનને સરળ બનાવવાનો હતો, પરંતુ તે આજે વિક્ષેપ અને સંબંધો તોડવાના સ્ત્રોત બની ગયા છે.તેમણે કહ્યું હતું કે, “ફોન આપણો સમય બચાવવા માટે નિર્મિત થયા હતા, પરંતુ આજે તે સમય બગાડનારા ઉપકરણો બની ગયા છે. માતાપિતા પણ પરિવારના ભોજન દરમિયાન, તેમના ફોન પર ઘણો સમય વિતાવે છે અને સ્વાભાવિક રીતે બાળકો તેમને અનુસરે છે. જો આપણે ઇચ્છીએ છીએ કે, આપણા બાળકોમાં પરિવર્તન આવે તો આપણે આપણા પોતાનાથી જ શરૂઆત કરવી જોઈએ. માતા-પિતાએ બાળકો માટે રોલ મોડેલ બનવાની જરૂર છે.”

દીદીએ મૂલ્ય આધારિત શિક્ષણના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે માતાપિતા અને શિક્ષકોને જીવનના પડકારોનો સામનો કરવામાં મદદ કરવા માટે યુવાનોના મનમાં પ્રેમ, કરુણા, સ્વ-શિસ્ત અને આધ્યાત્મિક જાગૃતિ કેળવવા વિનંતી કરી હતી.