ટેલીકોમ કંપનીઓને રાહતઃ સ્પેકટ્રમના નાણા ભરવા બે વર્ષની મુદત

નવી દિલ્હીઃ નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી ટેલીકોમ કંપનીઓને રાહત આપતાં સરકારે બુધવારે સ્પેક્ટ્રમ હપ્તાની ચૂકવણી બે વર્ષ માટે સ્થગિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.

નાણાકીય સંકટનો સામનો કરી રહેલી ટેલીકોમ કંપનીઓને રાહત આપતી વખતે સરકારે બુધવારે સ્પેક્ટ્રમના હપ્તાની ચૂકવણી બે વર્ષ માટે મુલતવી રાખવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક બાદ નાણાંપ્રધાન નિર્મલા સીતારામને આ માહિતી આપી. તેમણે કહ્યું કે, ટેલિકોમ કંપનીઓને 2020-21 અને 2021-22ના બે વર્ષ માટે સ્પેક્ટ્રમ હપ્તા ચૂકવણીમાંથી છૂટ આપવામાં આવી છે. સીતારમણે જણાવ્યું હતું કે સ્પેક્ટ્રમની વિલંબિત ચૂકવણી સમય વધાર્યા વિના બાકીના હપતામાં સમાનરૂપે વહેંચવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ટેલીકોમ કંપનીઓને સ્પેક્ટ્રમની વિલંબિત ચૂકવણી પર લાગુ પડતું વ્યાજ ચૂકવવાનું રહેશે.

નોંધનીય છે કે ટેલીકોમ ક્ષેત્ર છેલ્લાં કેટલાક સમયથી કટોકટી સાથે સંઘર્ષ કરી રહ્યું છે. બે જૂની ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલનું સંયુક્ત નુકસાન સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 74,૦૦૦ કરોડને વટાવી ગયું હતું, બાકી  કુલ આવક (એજીઆર) અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી આ ક્વાર્ટરમાં એકલા વોડાફોન આઈડિયાને રૂ .50,921 કરોડનું નુકસાન થયું છે. કોઈ પણ ક્વાર્ટરમાં અત્યાર સુધીની કોઈ પણ ભારતીય કંપનીનું આ સૌથી મોટું નુકસાન છે. આ પછી ટેલિકોમ સેક્ટર દ્વારા સરકાર તરફથી રાહતની માગણી કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયથી ટેલિકોમ કંપની ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જિઓને 42,000 કરોડ રૂપિયાની રાહત મળશે.